अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह–
अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि।। ९२ ।।
अज्ञानमयो जीवः कर्मणां कारको भवति।। ९२ ।।
હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ-
અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨.
ગાથાર્થઃ– [परम्] જે પરને [आत्मानं] પોતારૂપ [कुर्वन्] કરે છે [च] અને [आत्मानम् अपि] પોતાને પણ [परं] પર [कुर्वन्] કરે છે [सः] તે [अज्ञानमयः जीवः] અજ્ઞાનમય જીવ [कर्मणां] કર્મોનો [कारकः] કર્તા [भवति] થાય છે.
ટીકાઃ– અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.