Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1379 of 4199

 

૩૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ રહિત થઈને તત્ત્વજ્ઞાનીઓ અંતર્લક્ષ કરીને પોતાના ચૈતન્યસ્વરૂપને તેવો જ અનુભવે છે. એ જ કહે છે-

‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’

નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. જ્ઞાતા તો જ્ઞાતા જ છે, બસ! એવો જ અનુભવ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યગ્દર્શન નથી.

* * *
* કળશ ૮૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *
‘भातः’ જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે ‘एकस्य’ એવો એક

નયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એ વાત તો સત્ય જ છે. જીવ સ્વભાવથી પ્રત્યક્ષ જ્ઞાતા છે એવો તેનો ગુણ છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકામાં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્મા દ્રવ્યસ્વરૂપથી જ સ્વરૂપપ્રત્યક્ષ છે; પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. રાગ અને મનની ઉપેક્ષા કરી ભગવાન આત્મા પોતાના જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે. પરંતુ આત્મા વર્તમાન પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ ઉઠે છે તે નયપક્ષ છે. હું વર્તમાન પ્રત્યક્ષ છું એવા વિકલ્પથી વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી, પણ ખેદ જ થાય છે. તેથી અહીં આ સૂક્ષ્મ વિકલ્પને છોડવાની વાત છે.

જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવા પક્ષને છોડ એમ કહ્યું એટલે એમ સમજવું કે અંદર (વર્તમાન પ્રત્યક્ષ સિવાયની) કોઈ બીજી ચીજ છે વસ્તુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ચીજ તો સ્વરૂપપ્રત્યક્ષ જ છે. ભગવાને પણ એવો જ આત્મા જોયો અને કહ્યો છે, અને એની દ્રષ્ટિ કરતાં તે પર્યાયમાં પ્રત્યક્ષ સ્વાદમાં આવે છે. પણ હું પ્રત્યક્ષ છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. તે વિકલ્પ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવમાં બાધક છે. તેથી અહીં નયપક્ષના વિકલ્પને નિષેધવામાં આવ્યો છે.

અજ્ઞાની જીવોએ વરરાજાને છોડીને જાન જોડી છે. શુદ્ધ ચૈતન્યના ભાન વિના વ્રત, તપ, ભક્તિના વિકલ્પ બધા વર વિનાથી જાન જેવા વા એકડા વિનાનાં મીડાં છે. ભાઈ! વિકલ્પ કરતાં કરતાં ધર્મ થશે એ તારી માન્યતા ચિરકાળનું મિથ્યા શલ્ય છે. ક્રિયાકાંડના રાગથી આત્મા જણાય એવો એનો સ્વભાવ જ નથી. આત્મા પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ છે તે પણ રાગાંશ છે અને તે પણ છોડવા યોગ્ય છે. હવે કહે છે-

‘न तथा’ જીવ ‘ભાત’ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ નથી એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે.