સમયસાર ગાથા-૧પ૧ ] [ ૯૧
‘આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી.’ નામ જુદાં જુદાં છે પણ વસ્તુ એક જ છે. શબ્દભેદ સાત બોલથી કહ્યા, અને એના આઠ અર્થ કર્યા પણ મોક્ષમાર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે; વસ્તુભેદ નથી, વસ્તુ એક જ છે, મોક્ષમાર્ગ એક જ છે.
‘મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે.’
મોક્ષનું મૂળ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન આત્મા જ છે.
‘વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે.’
આત્માના બધા ગુણોમાં જ્ઞાનગુણની આ વિશેષતા છે કે જ્ઞાન પોતે પોતાને જાણે અને પરને પણ જાણે છે. વિકલ્પ-રાગ વિના માત્ર જાણે એવો એનો સ્વભાવ છે. તથા વિકલ્પપૂર્વક (-ભેદ પાડીને) જાણે એવો પણ એનો સ્વભાવ છે. સ્વ-પરને ભેદ પાડીને જાણવું એવો આત્માનો સ્વભાવ છે. આમ જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે-(એમ અભેદથી વાત છે).
‘‘માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.’ અહાહા...! જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને તેનું પરિણમન એ જ મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ છે તે જ્ઞાનનું જ પરિણમન છે, રાગનું નહિ; સમજાણું કાંઈ...?