Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1682 of 4199

 

સમયસાર ગાથા-૧૬૪-૧૬પ ] [ ૨૨૧

વળી પરમાત્મપદને પામ્યા તે આસ્રવથી પામ્યા એમ નથી. શું વ્યવહાર મોક્ષમાર્ગનું (- શુભાસ્રવનું) ફળ નિશ્ચય મોક્ષમાર્ગ હશે? (ના). એમ જે માને છે એ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. ‘ભાવાસ્રવ કરી નાશ’ એમ કહ્યું એટલે પુણ્ય-પાપરૂપ સમસ્ત આસ્રવનો નાશ કરી પરમાત્મપદને પામ્યા છે. પણ શું થાય? માણસને પુણ્યની મીઠાશ અને પકડ થઈ ગઈ છે. પુણ્યના ફળમાં બહાર પૈસા, આબરૂ, બાગ, બંગલા, બાયડી-છોકરાં, મખમલનાં કપડાં, ઇત્યાદિ ચમક-દમક દેખાય છે તેથી તે ભરમાઈ ગયો છે. પણ ભાઈ! એ બધું શું છે? એ તો ધૂળ છે, પુદ્ગલ છે.

પેલો બાળકનો દાખલો નથી? કે જેઠ મહિનાની ગરમી હોય, એક દોઢ વર્ષનું બાળક હોય અને ભૂખ કરતાં વધારે દૂધ પીવાઈ ગયું હોય તો પછી તે બાળકને સેરણું-પાતળા દસ્ત થઈ જાય. બાળકને કાંઈ ખબર નહિ એટલે એમાં હાથ નાખે અને ઠંડુ ઠંડુ લાગે એટલે તે એને ચાટે. બસ, આવું જ અજ્ઞાનીને પુણ્યના ફળના ભોગનું ચાટવું છે. હવે આવું આકરું લાગે પણ શું થાય? ઈંદોરમાં કાચના મંદિરમાં લખ્યું છે ને કે-

‘‘ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ;
કાગ-વિટ સમ ગિનત હૈ, સમ્યગ્દ્રષ્ટિ લોગ.’’

સમ્યગ્દ્રષ્ટિ લોકો એટલે કે જ્ઞાનીઓ, પુણ્યનાં ફળ એવાં ચક્રવર્તીપદ કે જેમાં હજારો રાણીઓ તથા ઇન્દ્રપદ કે જેમાં કરોડો દેવાંગનાઓનો સમાગમ હોય-તેને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. એમ કે માણસની વિષ્ટામાંથી તો ખાતરેય થાય અને એને ભુંડ પણ ખાય પણ કાગડાની વિષ્ટામાંથી તો ખાતરેય ન થાય અને એને ભુંડ પણ ન ખાય.

અહા! આત્મા એકલી પવિત્રતાનો પિંડપ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ -સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનું ઘર છે. એ નિજ ઘરમાં આવતો નથી અને વ્યભિચારી થઈને પરઘરમાં સુખ માની રઝળે છે!

પુણ્યને વિષ્ટા કહી ત્યાં તો રાડ પાડી ઉઠે છે. પણ ભાઈ! પુણ્યના ફળના ભોગમાં બેઠેલો ખરેખર વિષ્ટાના ઢગલા પર બેઠેલો છે.

સમયસાર, મોક્ષ અધિકારમાં શુભભાવને ઝેરનો ઘડો કહ્યો છે. પાપના પરિણામ તો ઝેરનો ઘડો છે જ, પણ શુભભાવ પણ ઝેરનો ઘડો-વિષકુંભ છે. એક ભગવાન આત્મા અમૃતનો સાગર છે; કેમકે પુણ્ય-પાપથી એ રહિત છે ને? આવા પુણ્ય-પાપથી રહિત નિજ આત્માને જેણે જોયો છે તે પુણ્યની આશા કરતા નથી. તે તો માત્ર સિદ્ધ ભગવાનના જેવા અતીન્દ્રિય આનંદને જ ઇચ્છે છે. સમજાણું કાંઈ...? બાપુ! અંદર આનંદનો નાથ સદાય વિરાજી રહ્યો છે પણ એની તને ખબર નથી.