Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1693 of 4199

 

૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આગળ (ગાથા ૧૭૧ માં) લેશે કે જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર નથી ત્યાં સુધી જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પરિણમન જઘન્ય છે. તેથી તેને રાગ-દ્વેષ છે અને એનાથી કિંચિત્ બંધ પણ છે.

ભાઈ! કઈ અપેક્ષાએ કયાં શું કહ્યું છે એ યથાર્થ સમજવું પડે. પોતાનો આગ્રહ ન ચાલે. પોતાનો આગ્રહ છોડી દેવો પડે; અમે માન્યું છે એમ શાસ્ત્રમાં આવવું જોઈએ એમ વાત ન ચાલે. શાસ્ત્રને જે કહેવું છે તે અભિપ્રાય એમાંથી કાઢવો જોઈએ. (એ જ સમજણની રીત છે.)

* ગાથા ૧૬૪–૧૬પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનાવરણાદિ કર્મોના આસ્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિ કર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્રવો છે.’ નવાં જ્ઞાનાવરણાદિ કર્મના આસ્રવણનું નિમિત્ત જૂનાં મિથ્યાત્વાદિ કર્મનો ઉદય છે; માટે તે મિથ્યાત્વાદિ જૂનાં કર્મો ખરેખર આસ્રવો છે.

‘વળી તેમને કર્મ-આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે, માટે રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગ-દ્વેષ-મોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે.’

હવે આવી વાત કયાં છે ભાઈ? આવો અવસર મળ્‌યો, આવું મનુષ્યપણું અને ભગવાન જિનદેવનો સંપ્રદાય (પરંપરા) મળ્‌યાં; એમાં આવો નિર્ણય નહિ કરે તો કયારે કરીશ? ઝાઝા માણસોની સંખ્યા આ વાતને માને છે કે નહિ એ કયાં જોવાનું છે? સત્ય છે કે નહિ એટલું જ જોવાનું છે. સત્યને માનનારા બહુ થોડા જ હોય. કહ્યું છે ને કે-

‘વીરલા ધ્યાવે તત્ત્વને, વીરલા ધારે કોઈ.’

અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે એમ કહીને આ ગાથામાં જ્ઞાનીને આસ્રવોનો અભાવ દર્શાવ્યો છે. જ્ઞાનીને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન છે ને? અહા! દ્રવ્યને ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે; અને એ શુદ્ધનો જેને અંતરમાં અનુભવ થયો તે જ્ઞાનીને શુદ્ધનું પરિણમન હોવાથી ભાવ-આસ્રવનો અભાવ છે. મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહનો જ્ઞાનીને અભાવ છે તેથી જ્ઞાનીને આસ્રવ-બંધ છે નહિ એમ અહીં કહ્યું છે.

[પ્રવચન નં. ૨૨૮ શેષ, અને ૨૨૯ * દિનાંક ૧૧-૧૧-૭૬ થી ૧૨-૧૧-૭૬]