સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨પપ જાણનારું જ્ઞાન પરજ્ઞેયમાં તદ્રૂપ નથી પણ પોતામાં જ તદ્રૂપ રહીને, પરજ્ઞેયને ભિન્ન રાખીને જાણે છે માટે અસદ્ભૂત વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે; ત્યાં જાણપણાનો અભાવ છે એમ અર્થ નથી. સર્વજ્ઞપણાની-સ્વપરપ્રકાશકપણાની શક્તિ સ્વની સ્વતઃ છે, પરને લઈને છે એમ નથી-એ વાત છે.
અરે ભગવાન! અગ્નિ કોને ન બાળે? સૂકાને બાળે અને ભેગું લીલું હોય તેને પણ સૂકું કરીને બાળે. તેમ ભગવાનનું જ્ઞાન કે જે પરિપૂર્ણ સામર્થ્યરૂપે અંદર હતું તે પૂર્ણપણે પ્રગટ થતાં કોને ન જાણે? એને મર્યાદા શી? એ સ્વ-પરરૂપ સમસ્ત લોકાલોકને જાણે છે. એક સમયમાં શક્તિમાં જે અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ છે તે કેવળજ્ઞાનમાં બધા પ્રગટ થઈ ગયા છે. એટલા જ બીજા સમયે હોય, એટલા જ ત્રીજા સમયે હોય ઇત્યાદિ. બધા અનંત સમયનો સરવાળો કરીને અનંત હોય એમ નહિ. એ સર્વને કેવળજ્ઞાન એક સમયમાં-સેકન્ડના અસંખ્યાતમા ભાગમાં જાણે છે.
જેમ કેવળી લોકાલોકને જાણે પણ લોકાલોકમાં તદ્રૂપ નથી તેમ જ્ઞાનીનો જ્ઞાનમય ભાવ રાગાદિક સાથે મળેલો રાગથી તદ્રૂપ નથી. રાગથી નહિ મળેલો એવો જ્ઞાનમય ભાવ જ્ઞાનીને ઉત્પન્ન થાય છે-એમ અહીં કહે છે.
‘જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જૂદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.’
ભગવાન આત્મા લોકાલોકને એક સમયમાં જાણે એવા જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી ભરેલો ચૈતન્યબિંબ છે. એનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ ફરીથી રાગાદિક સાથે એકપણાને પામતો નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પથી જૂદું પડેલું જ્ઞાન-ભેદજ્ઞાન જે થયું તે-ફરીથી રાગ સાથે એકત્વ કરતું નથી. ચાહે શુભ હો કે અશુભ હો-રાગ છે તે મેલ છે. તે મેલથી જૂદું પડેલું જે નિર્મળ જ્ઞાન ભગવાન નિર્મળાનંદના આશ્રયે પ્રગટ થયું તે ફરીથી મેલ સાથે એકપણું કરતું નથી. જ્ઞાનમય ભાવ જ્ઞાનમય જ રહે છે, રાગમય થતો નથી. ભાષા તો સાદી છે પણ ભાવ-મર્મ બહુ ઊંડો છે, ભાઈ!
જુઓ, આ કુંદકુંદાચાર્ય પછી ૧૦૦૦ વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ગાથામાં જે ભાવ છે તેનું દોહન કરીને આ અર્થ કાઢે છે.
આ માંગલિકમાં ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી જેમનું ત્રીજું