સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨પ૭
અહાહા...! મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી પણ રાગાદિ બધો સૂકાઈ જ જાય છે, નાશ જ પામી જાય છે. ચોથે ગુણસ્થાને ૪૧ પ્રકૃતિઓનો તો સમકિતીને બંધ થતો જ નથી અને અન્ય પ્રકૃતિઓ દીર્ઘ (અનંત) સંસારનું કારણ નથી. આવો સમકિતનો અચિંત્ય મહિમા છે.
હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્રવનો અભાવ છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે-
‘जीवस्य’ જીવને ‘यः’ જે ‘रागद्वेषमोहैः विना’ રાગદ્વેષ મોહ વગરનો, ‘ज्ञाननिर्वृत्तः एव भावः’ જ્ઞાનથી જ રચાયેલો ભાવ ‘स्यात्’ છે અને ‘सर्वान् द्रव्यकर्मास्रव–ओघान् रुन्धन्’ જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને રોકનારો છે; ‘एषः सर्व–भावास्रवाणाम् अभावः’ તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે.
જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. શું કહે છે? કે સમકિત થતાં જે જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવથી રચાયેલો જ્ઞાનમય ભાવ, શ્રદ્ધામય ભાવ, સ્થિરતામય ભાવ પ્રગટ થયો તેમાં મિથ્યાત્વ અને દયા, દાન આદિ ભાવાસ્રવનો અભાવ છે.
અરે પ્રભુ! શું થાય? લોકોને તો શુભભાવ મોક્ષનું કારણ ઠરાવવું છે. પણ એમ છે નહિ. બંધ છે તે મોક્ષનું કારણ નથી અને મોક્ષનો માર્ગ છે તે બંધનું કારણ નથી.
અહા! સત્યને સ્વીકારતાં જો બહારની આબરૂ જાય તો જવા દે. ભગવાન આત્મામાં એ આબરૂ કયાં છે? ભૂલમાં તો અનાદિથી પડયો છે. તે ભૂલને ટાળવામાં તારી આબરૂ નહિ જાય, પરંતુ તને એનાથી લાભ થશે. પહેલાં ન જાણે ત્યાં સુધી ખોટી માન્યતા હોય, અમને પણ હતી પણ હવે સત્યને સ્વીકારવામાં બહારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આગળ કરીશ નહિ.
અહીં તો કહે છે કે-રાગ-દ્વેષ-મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમયભાવ જથ્થાબંધ દ્રવ્યકર્મના-જડકર્મના પ્રવાહને રોકનારો છે કેમકે તે ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આસ્રવ છે, સંસારનું કારણ છે એમ વાત છે.
‘મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.’ મિથ્યાત્વસહિત જે ભાવ છે તે અજ્ઞાનમય છે. રાગને પોતાની સાથે મેળવવો-ભેળવવો-એવો મિથ્યાત્વસહિત ભાવ છે તે અજ્ઞાનમય છે. અને રાગને આત્મા સાથે નહિ ભેળવેલો એવો મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.
‘તે જ્ઞાનમય ભાવ રાગ-દ્વેષ-મોહ વગરનો છે, અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે.’ ભાવાસ્રવ નથી એટલે દ્રવ્યકર્મ રોકાઈ જાય છે. દ્રવ્યકર્મનો પ્રવાહ આવનારો હતો