Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1992 of 4199

 

સમયસાર ગાથા-૨૦૦ ] [ ૭૯

વળી કોઈ પૂછે છે કે-“પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત્વ કેમ છે?” તેનું સમાધાનઃ–અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દ્રષ્ટિ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવત્ જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દ્રષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દ્રષ્ટિ નથી. આવા (મિથ્યાદ્રષ્ટિના અને સમ્યગ્દ્રષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે. મિથ્યાદ્રષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે. ૧૩૭.