સમયસાર ગાથા-૨૦૮ ] [ ૨૪૩
અહા! આત્મજ્ઞાન શું ચીજ છે તે અજ્ઞાનીને ખબર નથી. ભાઈ! આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામથી લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું. ભાઈ! પંચમહાવ્રત પણ દુઃખ છે એમ કહેવું છે.
તો શું પંચમહાવ્રતની ક્રિયા તે ચારિત્ર નથી? ભાઈ! પંચમહાવ્રતાદિ ક્રિયાને ઉપચારથી ચારિત્ર કહેલ છે. તે ઉપચાર પણ જેને નિશ્ચય ચારિત્ર પ્રગટયું છે તેવા સમકિતીની ક્રિયાને લાગુ પડે છે. બાકી જેને પોતાની વસ્તુની ખબર જ નથી એ તો મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિની ક્રિયાને તો ઉપચાર પણ સંભવિત નથી. મારગ બાપુ! ભગવાનનો સાવ જુદો છે. અહીં તો આ કહે છે કે-રાગ જો મારો હોય તો હું જરૂર અજીવ થઈ જાઉં. એ જ વિશેષ કહે છે કે-
‘એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.’ અહાહા...! જ્ઞાની આમ માને છે કે-‘चिद्रूपोऽहं’–ખરેખર હું જ્ઞાનઘન-ચિદ્ઘન ચિદ્રૂપસ્વરૂપ એવું પરમાત્મદ્રવ્ય છું. હું મારું સ્વ અને તેનો હું સ્વામી છું. પણ કમજોરીથી પર્યાયમાં જે આ રાગ થયો છે તેને જો હું મારો માનું તો હું તેનો સ્વામી થાઉં અને તો મને અવશે-લાચારીથી પણ અજીવપણું આવી પડે. જોયું? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ધર્મીને હોય છે પણ તેને તે પોતાનો માનતો નથી, તેનો સ્વામી થતો નથી. અહીં કહે છે-તેનો જો હું સ્વામી થાઉં તો મને અવશે પણ અવશ્ય અજીવપણું આવી પડે. લ્યો, હવે આવી વાત છે જ્યાં ત્યાં આ લક્ષ્મી મારી ને કુટુંબ મારું ને દેશ મારો અને હું એનો સ્વામી એ વાત કયાં રહી? પર મારાં છે એમ માનનાર તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ અનંત સંસારી છે.
હવે કહે છે-‘મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું.’ અહાહાહા...! ધર્મી જીવ પોતાના એક જ્ઞાયક ભાવને જ પોતાનો માને છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિસ્વરૂપ સદા જ્ઞાયકસ્વભાવી પ્રભુ અંદર જ્ઞાનના નૂરના પૂરથી ભરપુર પડયો છે. બસ તે જ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ ધર્મી જીવ માને છે. અહો! અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા!
પણ આ બધાનું-જર-ઝવેરાતનું શું કરવું? કયાં નાખવાં? શું બહાર નાખી દેવાં? ભાઈ! એ પરને કોણ નાખે ને કોણ રાખે? અહીં કહે છે-એ બધાં મારાં છે એવી મિથ્યા માન્યતાને કાઢી નાખ. મારાં માન્યાં હતાં પણ તેઓ મારાં છે નહિ