૩૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અરે ભાઈ! એ બધી તો જડની ક્રિયા છે. આ વાણી બોલાય છે તે પણ જડની ક્રિયા છે. તેમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી. આવી જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે એ તો જ્ઞાતાદ્રષ્ટા થાય છે. તેને જે રાગ આવે છે તેનો પણ જ્ઞાતાદ્રષ્ટા છે. તે સાધનો ભેળાં કરે છે એમ કહેવું એ તો ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. ખરેખર તો એને સર્વ વિકલ્પ પ્રતિ હેયબુદ્ધિ જ હોય છે. કહ્યું ને કે છન્નુ હજાર રાણીઓ સાથે લગ્ન કરવાના પરિણામ સમકિતી ચક્રવર્તીને થતા હોય છે પણ તેમાં તેને સુખબુદ્ધિ નથી પણ હેયબુદ્ધિ જ છે.
પ્રશ્નઃ– તો પછી તે લગ્ન શું કામ કરે? સમાધાનઃ– પણ તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. તે નબળાઈનો દોષ છે. પોતાની અશક્તિ છે એટલે રાગ આવે છે પણ તેમાં એને હેયબુદ્ધિ જ છે, ઉપાદેયબુદ્ધિ નથી. જ્ઞાની તો રાગને રોગ સમાન જાણે છે.
પ્રશ્નઃ– આ જે રોગ થાય છે તેને તો ડોકટર (-બીજા) મટાડે છે ને? સમાધાનઃ– રોગ તો એને ઘેર રહ્યો. રોગને અને આત્માને શું છે? રોગ તો શરીરની-જડની દશા છે. ભાઈ! આ શરીર છે તે જડ પુદ્ગલની દશા છે. શરીરમાં રોગનું થવું તે પરમાણુઓની તેવી દશારૂપે થવાની જન્મક્ષણ છે, તેનો ઉત્પત્તિ કાળ છે. તેમ રોગનું મટવું એ પણ શરીરના પરમાણુઓની તેવી દશા તેના કારણે થાય છે. તેમાં દાક્તરો શું કરે? ધૂળમાંય દાક્તરો રોગને મટાડી દે નહિ. (દાક્તર રોગને મટાડે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે). આવી વાત છે.
અહીં કહે છે-જેમ રોગી રોગનો ઉપચાર કરે છે તેમ જ્ઞાની નબળાઈના કારણે જે રાગ આવે છે તેનો ઈલાજ કરે છે, પણ હેયબુદ્ધિએ જ.