સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૭૧
સમાધાનઃ– અરે ભાઈ! એ ક્રમબદ્ધમાં આવવાવાળો હોય તો આવે એનો નિશ્ચય કોને હોય? કે જેને ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તેમાં ઝુકાવ દ્વારા નિજરસની- આનંદરસની પ્રાપ્તિ થઈ હોય. અને તે (આનંદરસની પ્રાપ્તિ) સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થથી થાય છે. સમજાણું કાંઈ? (બાકી તો ખાલી ક્રમબદ્ધ કહે તેને તો સંસારનું જ ક્રમબદ્ધ હોય છે). આવો મારગ! લોકોને લાગે છે કે આ નવો (સોનગઢવાળાનો) છે પણ ભાઈ! આ તો અનાદિનો મારગ છે; તેં કદી સાંભળ્યો નથી એટલે નવો લાગે છે.
અરે ભાઈ! અનાદિ કાળથી એને નિજરસ-ચૈતન્યરસના ભાન વિના એકાંત રાગનો જ સ્વાદ આવ્યો છે. અહા! દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈને તે અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો તોપણ ત્યાં એને એકાંતે રાગનો જ રસ હતો, નિજરસ ન હતો. એણે પંચમહાવ્રતાદિની શુભરાગની જે ક્રિયાઓ કરી તે સર્વ રાગરસને જ આધીન હતી, અને તે રાગરસની રુચિમાં પોતાના નિજરસને ભૂલી જ ગયો હતો. અહાહા...! જ્ઞાની નિજરસના સ્વાદ આગળ રાગનો રસ ભૂલી જાય છે, ત્યારે અજ્ઞાની રાગરસની રુચિના કારણે દયા, દાન, વ્રત આદિ રાગમાં એવો તલ્લીન થઈ જાય છે કે તે ચૈતન્યરસને ભૂલી જાય છે. અરે ભાઈ! અનંતકાળથી તું ચૈતન્યરસથી વિરક્ત થઈને રાગરસમાં રક્ત રહ્યો છે પણ તે અજ્ઞાન છે અને તેનું ફળ ચારગતિરૂપ સંસાર છે. આવી વાત છે.
અહા! જેને શુભભાવમાં રસ છે તે અજ્ઞાની છે. રસની વ્યાખ્યા તો આગળ આવી ગઈ કે-એકમાં એકાગ્ર થઈને બીજાની ચિંતા છોડી દેવી તેનું નામ રસ છે. અહા! જેને દયા, દાન, વ્રતાદિના રાગમાં રસ છે તેને તેમાં એક જ (રાગ જ) ચીજ છે, પણ બીજી ચીજ છે નહિ. રાગના રસમાં આત્મા છે નહિ.
ત્યારે કોઈ કહે છે-આવો મોંઘો ધર્મ! અરે ભાઈ! ધર્મ તો જે છે તે છે. તેં કદી સાંભળ્યો નથી તેથી કઠણ લાગે છે. અહી કહે છે-ભગવાન! તું આનંદરસથી-ચૈતન્યરસથી ભરેલો છો ને નાથ! તું રાગરસમાં લીન થઈને નિજ આનંદરસને ભૂલી ગયો. પ્રભુ! જુઓ, સ્ત્રીના દેહનો, લક્ષ્મીનો, મકાનનો કે આબરુનો રસ તો કોઈને છે નહિ, કેમકે એ તો પર જડ છે. પરંતુ તે તરફનું લક્ષ કરતાં જે રાગ થાય છે તે રાગના રસમાં અનાદિથી અજ્ઞાની પડયો છે. વળી અનાદિથી અજ્ઞાની વ્રત પાળે, તપ કરે, ભક્તિ-પૂજા કરે તોપણ તે રાગના રસમાં જ પડેલો છે. તેને કહે-ભાઈ! ધર્મી જીવ તો નિજરસથી જ સર્વ રાગરસથી વિરક્ત છે. તેને નિજરસનો-ચૈતન્યરસનો-આનંદરસનો જે સ્વાદ છે તે ધર્મ છે. અહા! ધર્મ આવો સૂક્ષ્મ છે. તેં બહારમાં ધર્મ માની લીધો છે એટલે તને કઠણ-મોંઘો લાગે છે.