૩૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પણ પૈસા હોય તો નિવૃત્તિ લઈ શકાય ને? નિવૃત્તિ? પૈસા હોય તો નિવૃત્તિ થાય એમ નહિ, પણ પૈસા મારી ચીજ નથી એમ પૈસા પ્રત્યેના રાગથી નિવૃત્તિ થતાં નિવૃત્તિ થાય છે. સમજાણું કાંઈ...?
અહીં તો આ સિદ્ધાંત છે કે-પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની રાગને ગ્રહણ કરતો નથી, પણ રાગને પોતાના જ્ઞાનમાં રહીને પરજ્ઞેય તરીકે જાણે છે. જ્ઞાની, જે રાગ આવે છે તે રાગમાં જઈને (પેસીને) રાગનું જ્ઞાન કરતો નથી પણ પોતામાં રહીને રાગને અડયા વિના એનું જ્ઞાન કરે છે. આવી વાત બીજે કયાં છે? એટલે તો બિચારા લોકો કહે છે કે આ નવી વાત છે; એમ કે આવો જૈનધર્મ! જૈનધર્મ તો દયા પાળવી, ઉપવાસ કરવો, ચોવિહાર પાળવા, કંદમૂળ ન ખાવું, બ્રહ્મચર્ય પાળવું-ઇત્યાદિ છે. અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયા છે, એ કાંઈ વીતરાગનો ધર્મ નથી; વીતરાગનો ધર્મ તો રાગથી તદ્ન જુદો છે, બાપા!
જુઓને! કહે છે-‘સર્વ પરદ્રવ્યો પ્રત્યે કરવામાં આવતો જે રાગ...’ આમાં ‘સર્વ પરદ્રવ્ય’ શબ્દો પર વજન છે. એમાં અરહંત, સિદ્ધ આદિ પરદ્રવ્ય પણ આવી ગયા. ભાઈ! જ્ઞાનીને અરહંતાદિ પ્રત્યે થતા રાગના ત્યાગરૂપ સ્વભાવપણું છે. અહાહા...! વ્યવહારરત્નત્રયના રાગના ત્યાગરૂપ સ્વભાવપણું જ્ઞાનીને છે એમ કહે છે. અર્થાત્ વ્યવહારરત્નત્રય મારાં કર્તવ્ય છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાની એમ માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય છે, પણ ભાઈ! એ કાંઈ વીતરાગનો માર્ગ નથી. વીતરાગનો મારગ તો વ્યવહારથી-રાગથી નહિ પણ વીતરાગતાથી શરૂ થાય છે. ભાઈ! તને આકરી લાગે પણ તારા હિતની આ વાત છે. ત્યારે કોઈ વળી કહે છે-
આ તો વ્યવહારનો લોપ થઈ જાય છે? અરે પ્રભુ! તું સાંભળ તો ખરો નાથ! વ્યવહાર તો જ્યાં (જે ગુણસ્થાને) જેવો છે તેવો છે, પણ એનાથી અંતરમાં ધર્મ-વીતરાગતારૂપ ધર્મ-પ્રગટ થયો છે એમ નથી. જ્ઞાની તો સ્વભાવસન્મુખ થઈને રાગના અભાવ-સ્વભાવે એક જ્ઞાયકભાવપણે પરિણમ્યો છે. તે હવે રાગની રચના કેમ કરે? રાગની રચના કરે એ તો નપુંસક છે; શુભરાગની રચના કરે એય નપુંસક છે, કેમકે જેમ નપુંસકને પુત્ર-પ્રજા હોય નહિ તેમ શુભરાગની રચનામાં રહેલાને ધર્મની પ્રજા થતી નથી. જ્ઞાનીને જે રાગ-વ્યવહાર હોય છે તેને તે માત્ર સ્વભાવમાં રહીને જાણે જ છે, કરતો નથી. આવો મારગ છે!
હવે કહે છે-‘જેમ લોખંડ કાદવ મધ્યે પડયું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે,...’