૪૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
स्वयमेव एककः लोकयति’ આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે.
આ ચિત્સ્વરૂપ આત્માને આ આત્મા (જ્ઞાની પુરુષ) સ્વયમેવ એટલે કે કોઈ પરની અપેક્ષા વિના એકલો અનુભવે છે એમ કહે છે. એકલો અનુભવે છે એટલે કે એને વ્યવહારરત્નત્રયની પણ અપેક્ષા નથી; પોતે પોતાથી જ અનુભવે છે-એમ વાત છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આ ચિત્સ્વરૂપ લોક જ તારો (-પોતાનો) છે એમ અનુભવે છે. ‘तद्–अपरः’ તેનાથી બીજો કોઈ લોક-‘अयं लोकः अपरः’ આ લોક કે પરલોક ‘तव न’ તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે. શું કહ્યું? કે જ્ઞાની પોતાના શુદ્ધ ચિત્સ્વરૂપ લોકને-ત્રિકાળી ભગવાન આત્માને છોડીને આ લોક કે પરલોકસંબંધી જે વિચાર (ચિંતા) થાય તે પોતાનું સ્વરૂપ નથી એમ જાણે છે. તેથી-
‘तस्य तद्–भीः कुतः अस्ति’ જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય કયાંથી હોય? ન હોય. ‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે; અર્થાત્ સહજ શુદ્ધ આત્મસ્વભાવને જ નિરંતર અનુભવે છે.
આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?-એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે.’
‘શું કહ્યું? કે મરણ થતાં સુધી આ બધી સગવડતાઓ રહેશે કે નહિ એવો ભય અજ્ઞાનીને રહ્યા કરે છે. આ શરીરની નીરોગતા, શરીર ને કુટુંબને ટકાવનારી અનેક પ્રકારની બાહ્ય સામગ્રી જીવન પર્યંત સરખી રહેશે કે નહિ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. અહા! બિમારી આવી જશે તો? કુટુંબનો વિયોગ થઈ જશે તો? ધનાદિ સંપત્તિ ચાલી જશે તો? આવી અનેક પ્રકારે ચિંતા થવી તે આ લોકનો ભય છે; અને તે જ્ઞાનીને હોતો નથી એમ કહે છે. અહાહા...! હું તો જ્ઞાનાનંદસ્વભાવી નિત્ય ચિદાનંદ ચૈતન્યધાતુમય આત્મા છું અને એ જ મારો લોક છે, આ સિવાય બીજો લોક મારે કયાં છે?-એમ જ્ઞાની જાણે છે. તેથી જ્ઞાનીને આ લોકનો ભય નથી.
‘પરભવમાં મારું શું થશે?-એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે.’ અરે હું મરીને કયાં જઈશ અને મારું શું થશે?-એમ અજ્ઞાની સાશંક રહે છે. તેથી અજ્ઞાની પરલોક સંબંધી ભયભીત અને ચિંતાગ્રસ્ત રહે છે. જ્યારે જ્ઞાની તો જાણે છે કે-‘આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે.’
હા, પણ કોઈ અજ્ઞાનીઓ તો પરલોકને માનતા જ નથી?