Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2423 of 4199

 

ગાથા–૨૩૩
जो सिद्धभत्तिजुत्तो उवगूहणगो दु सव्वधम्माणं।
सो उवगूहणकारी सम्मादिट्ठी मुणेदव्वो।। २३३।।
यः सिद्धभक्तियुक्तः उपगूहनकस्तु सर्वधर्माणाम्।
स उपगूहनकारी सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३३।।
હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છેઃ-
જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩.
ગાથાર્થઃ– [यः] જે (ચેતયિતા) [सिद्धभक्तियुक्तः] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ

સહિત છે [तु] અને [सर्वधर्माणाम् उपगूहनकः] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [सः] તે [उपगूहनकारी] ઉપગૂહનકારી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.

આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃંહણગુણવાળો છે.

આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.