સમયસાર ગાથા-૨૩પ ] [ પ૨૩
અહા! સમ્યગ્દ્રષ્ટિ-ધર્મની શરૂઆતવાળો જીવ-કોને કહીએ? કે જેને એક જ્ઞાયકભાવમયપણાની દ્રષ્ટિ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે; તેની દ્રષ્ટિ નિમિત્ત કે રાગ ઉપર નથી. એનો અર્થ જ એ છે કે નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થાય કે રાગથી-વ્યવહારથી નિશ્ચય થાય એવું છે જ નહિ. અહા! ધર્મીની ધર્મદ્રષ્ટિ છે તો પર્યાય પણ તે પર્યાયનો વિષય ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે. આવો જૈનધર્મ બહુ ઝીણો છે, ભાઈ!
કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (અનુભવતો) હોવાથી...’
જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં ‘સાધુ-સાધક’ત્રય કહ્યા છે. પાઠમાં ‘तिण्हं साहूण’ એમ છે ને? એટલે કે એ રત્નત્રય ‘સાધુ-સાધક’ત્રય છે. પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ સાધકો છે. અહા! આત્માની પરમાનંદરૂપ જે મુક્તિ તેનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધન છે. લ્યો, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયકભાવમય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતાં સમકિતીને જે જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધકદશા છે તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું સાધન છે એમ કહે છે. આમાં તો નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન છે એ વાત જ ઉડાવી દીધી છે.
અહા! વસ્તુ છે એ તો ત્રિકાળ એક જ્ઞાયકભાવપણે છે. અને તેનો અનુભવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે-જ્ઞાની એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી-આત્માથી અભેદપણે-એકપણે અનુભવે છે. આવી વાતુ! કોઈ દિ’ સાંભળી ન હોય એટલે થાય કે શું આવો જૈનધર્મ! એમ કે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ-પૂજા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં છે પણ આ કેવો ધર્મ! અરે ભાઈ! દયા આદિ તો બધી રાગની ક્રિયાઓ છે, તે કાંઈ જૈનધર્મ નથી. જૈનધર્મ તો એક જ્ઞાયકભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પોતાનાથી એકપણે અનુભવવાં તે છે. આનું નામ મોક્ષમાર્ગ અને આનું નામ ધર્મ છે.
પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહિ? અરે ભાઈ! પોતાના સહજાત્મસ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંતકાળમાં તેં કર્યો નથી એટલે કઠણ લાગે છે પણ માર્ગ તો આ જ છે. જુઓને! કહે છે કે-ધર્મી જીવ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ સ્વાશ્રયે પ્રગટ થઈ તેને પોતાથી એકપણે-અભેદબુદ્ધિએ અનુભવે છે.
એ તો ૧૬ મી ગાથામાં આવ્યું નહિ? કે-‘दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं’–જે સ્વદ્રવ્યના આશ્રયે દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે અર્થાત્ સમ્યગ્દર્શન-