પ૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,...’ જુઓ, હું નિત્યાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમય આત્મા છું-એમ પોતાના ત્રિકાળી સત્ની જેને દ્રષ્ટિ થઈ છે તે સત્-દ્રષ્ટિ નામ સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! જેની દ્રષ્ટિમાં પોતાનો પૂરણ ચૈતન્યમહાપ્રભુ આત્મા આવ્યો તે સમ્યગ્દ્રષ્ટિ છે. તો કહે છે-
‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે........’ અહા! ધર્મીને અખંડ એક જ્ઞાયકભાવ પર જ દ્રષ્ટિ છે. દુનિયામાં જે બહારમાં (દયા, દાન, વ્રત, ભક્તિ આદિ) કરાય છે તે આમાં મળે નહિ તથા ધર્મીના અંતરમાં જે જ્ઞાનની અંતઃક્રિયા થાય છે તેને અજ્ઞાની અંતરમાં જાણે નહિ; શું થાય? પરમાર્થ વચનિકામાં આવે છે કે-અજ્ઞાનીને બાહ્યક્રિયારૂપ આગમ-અંગ સાધવું સહેલું છે તેથી તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે છે પરંતુ તે અધ્યાત્મઅંગના વ્યવહારને જાણતો સુદ્ધાં નથી. અહા! અંતરમાં શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન ને રમણતા પ્રગટ થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. અજ્ઞાની આવા અધ્યાત્મવ્યવહારને જાણતો પણ નથી.
પણ અંદર ધર્મ પ્રગટયો તેનું માપ તો બાહ્ય વ્યવહારથી નીકળે ને? અરે ભાઈ! અંદર અધ્યાત્મક્રિયાનું માપ બાહ્ય વ્યવહારથી-રાગથી કેમ નીકળે? બાહ્ય વ્યવહાર-વ્યવહારરત્નત્રય પણ-રાગ છે, જડ છે, અજીવ છે. એનાથી ચૈતન્યની ધર્મક્રિયાનું માપ કેમ નીકળે ? બીલકુલ ન નીકળે. ધર્મ પ્રગટયો તેનું માપ તો જ્ઞાયકપણાની પરિણતિ જ છે. બીજું કાંઈ એનું માપ છે જ નહિ. લોકોને થાય કે આ સોનગઢથી નવું કાઢયું છે, પણ ભાઈ! આ તો અનાદિનું છે. આ શાસ્ત્રમાં તો બધું છે, જો ને? અરે ભાઈ! શાસ્ત્રમાં વ્યવહાર (ગુણસ્થાન પ્રમાણે) જેમ છે તેમ બતાવ્યો છે પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એમાં કયાં છે? બાપુ? વ્યવહારને જાણનારો (આત્મા) તો એનાથી ભિન્ન જ છે, અન્યથા વ્યવહારને જાણે કોણ? (માટે જ્ઞાન વ્યવહારને-રાગને જાણે છે, પણ વ્યવહાર-રાગ જ્ઞાનને માપતું-જાણતું નથી). સમજાણું કાંઈ...
અહીં કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા - ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે.’
અહા! ભગવાન આત્મા એકલા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની પવિત્ર દશા તે જ્ઞાનનું વિકાસપણું-ફેલાવાપણું છે. જ્ઞાની સમસ્ત શક્તિને પ્રગટ