સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૪૧ અંતરમાં આત્મભાન થયા વિના તથા આત્માની એકાગ્રતાના અભ્યાસ વિના પ્રભાવના ગુણ પ્રગટ થતો જ નથી. અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર કોઇ પ્રભાવના હોતી નથી. આવી વાતુ છે.
હવે કહે છે- ‘આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ ગુણો નિર્જરાનાં કારણ કહ્યાં. એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવાં.’ એમ કે આ તો આઠ કહ્યાને બીજા-આનંદ, શાંતિ વિગેરે પણ નિર્જરાનાં કારણ જાણવાં. હવે વિશેષ કહે છે-
‘આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે.’
જોયું? આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન છે. એટલે શું? એટલે કે સત્યાર્થ દ્રષ્ટિને પ્રધાન કરીને આમાં કથન છે. તેમાં નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ કહ્યું છે, નિશ્ચયસ્વરૂપ એટલે કે સ્વ-આશ્રિત સ્વરૂપ; પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું સ્વ- આશ્રિતસ્વરૂપ તે નિશ્ચયસ્વરૂપ છે. આ નિઃશંકિત આદિ ગુણો આત્માશ્રિત છે. અહા! અજાણ્યાને તો એમ થાય કે-આ શું કહે છે? એને તો આ પાગલ જેવું લાગે; પણ અંદર છે કે નહિ? અહા! પણ લોકમાં તો છેય એવું હોં;-કે જ્ઞાનીને જગત આખું પાગલ ભાસે છે ને (પાગલ) જગતની દ્રષ્ટિમાં જ્ઞાની પાગલ લાગે છે. (જ્ઞાનીની ને જગતની દ્રષ્ટિમાં આવડો મોટો ફેર છે).
અહા! આ ગ્રંથમાં નિઃશંકિત આદિ ગુણોનું સ્વાશ્રિત સ્વરૂપ બતાવ્યું છે. ‘તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છેઃ-
જે આવી ગયું છે તેનો સારાંશ કહે છે- ૧. ‘જે સમ્યગ્દ્રષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે.’ જોયું? ગમે તેવી પ્રતિકૂળતા આવી પડે તોપણ ધર્મી જીવ સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાનથી ડગતો નથી વા સ્વરૂપ સંબંધી સંદેહયુક્ત થતો નથી. સમકિતી સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાનમાં અચલ રહે છે. આવો નિઃશંકિત ગુણ-સ્વાશ્રિત ધર્મની દશાનો ગુણ-તેને પ્રગટ થયો હોય છે.
પ્રશ્નઃ– પણ લોકો તો કહે છે- ‘જનસેવા તે પ્રભુસેવા’; એમ કે ભુખ્યાંને ભોજન આપો, તરસ્યાંને પાણી આપો, રોગીને ઔષધ આપો, નિવાસ વગરનાંને ઝુપડાં બંધાવી આપો-ઇત્યાદિ જનસેવા તે ધર્મ છે.
ઉત્તરઃ– એમાં ધૂળેય ધર્મ નથી સાંભળને. ધૂળેય ધર્મ નથી એટલે સરખું પુણ્યેય નથી. સમકિતીને જેવું પુણ્ય બંધાય છે તેવું આ વડે અજ્ઞાનીને પુણ્યેય ઊંચું થતું નથી.