ભગવાન આત્મા અમૃતકુંભ છે. આ તો માખણ-માખણની વાતો છે. કહ્યું છે ને-
‘ગગનમંડલમેં ગૌઆ વિહાની, વસુધા દૂધ જમાયા, માખન થા સો વિરલા રે પાયા, યે જગત છાસ ભરમાયા... સંતો અબધુ સો જોગી રે મિલા, હીનપદકા રે કરે નિવેડા, ઐસો જોગી ગુરુ મેરા!’
ભાઈ! આ તો સમોસરણમાં જગદ્ગુરુ ભગવાનના મુખેથી નીકળેલી સાર વાત છે. જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે. બાકી લોકોને તો પુણ્યભાવ-શુભભાવની રુચિ, પૈસા, સ્ત્રી આદિનો પ્રેમ હોવાથી આ વાત કઠણ પડે છે. પણ શું થાય? જ્યાં પરમસ્વભાવ ધ્રુવ ચૈતન્યભાવની આગળ ક્ષાયિકભાવ એ પણ અપરમભાવ છે (અપ્રતિષ્ઠિત છે) ત્યાં પછી રાગની તો વાત જ શી? (રાગની-શુભરાગની કોઈ પ્રતિષ્ઠા નથી).
અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધનયના વિષયરૂપ ત્રિકાળી આત્મા-પર્યાયરહિત શુદ્ધાત્માનો અનુભવ કરો. આનંદકંદમાં ઝૂલનારા, વનવાસી, નગ્ન દિગંબર મુનિઓ અને આચાર્યોનો આ ઉપદેશ છે. અને એ જ ભગવાનનો ઉપદેશ છે. મુનિઓ તો જંગલમાં રહેતા હોય છે. ક્યારેક ભોજન માટે ગામમાં આવે છે. એ મુનિઓ ક્યારેક વિકલ્પ ઊઠે તો વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. ત્યાં ને ત્યાં તાડપત્ર મૂકીને પોતે તો બીજે ચાલ્યા જાય છે. કોઈ ગૃહસ્થને ખ્યાલ હોય કે મુનિ શાસ્ત્ર લખી ગયા છે તો તે લઈ લે છે. આખું સમયસાર આ રીતે બન્યું છે. અહાહા...! લખવાનું પણ જેને અભિમાન નથી અને લખવાના વિકલ્પના પણ જે સ્વામી થતા નથી એવા મુનિ ભગવંતોનો આ ઉપદેશ છે કે એક શુદ્ધાત્માનો અનુભવ કરો.
હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છેઃ-
‘यदि’ જો ‘कः अपि सुधीः’ કોઈ સુબુદ્ધિ કહેતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘भूतम् भान्तम् अभूतम् एव बन्धं’ ભૂતકાળમાં વીતી ગયેલા, વર્તમાનમાં વર્તતા અને ભવિષ્યમાં પ્રગટ થવા યોગ્ય -એમ ત્રણે કાળના પુણ્ય અને પાપના ભાવોને પોતાના આત્માથી ‘रभसात्’