Pravachan Ratnakar (Gujarati). Gatha: 266.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2626 of 4199

 

ગાથા–૨૬૬
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि।
जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा।। २६६।।
दुःखितसुखितान् जीवान् करोमि बन्धयामि तथा विमोचयामि।
या एषा मूढमतिः निरर्थिका सा खलु ते मिथ्या।।
२६६।।

આ રીતે બંધના કારણપણે (-કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે-એમ હવે દર્શાવે છેઃ-

કરું છું દુખી–સુખી જીવને, વળી બદ્ધ–મુક્ત કરું અરે!
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.

ગાથાર્થઃ– હે ભાઈ! ‘[जीवान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [बन्धयामि] બંધાવું છું [तथा विमोचयामि] તથા મુકાવું છું, [या एषा ते मूढमतिः] એવી જે આ તારી મૂઢ મતિ (-મોહિત બુદ્ધિ) છે [सा] તે [निरर्थिका] નિરર્થક હોવાથી [खलु] ખરેખર [मिथ्या] મિથ્યા (-ખોટી) છે.

ટીકાઃ– હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું’ એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે (અર્થાત્ માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતું નથી).

ભાવાર્થઃ– જે પોતાની અર્થક્રિયા (-પ્રયોજનભૂત ક્રિયા) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે.

*