સમયસાર ગાથા-ર૭૦ ] [ ૧૯૯ નામ સ્વાધીન અને તેના આશ્રયે ઉત્પન્ન નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પણ સ્વાધીન. આવી વાત છે; સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી (મુનિવરો) ખરેખર લેપાતા નથી.
જોયું? ભગવાન આત્મા અંતરમાં ઝળહળ ઝળહળ અમંદ નામ અતિ ઉગ્ર ચૈતન્યજ્યોતિ છે. અહાહા...! જાણગ-જાણગસ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ભિન્ન વિરાજી રહ્યો છે. તેમાં અંતઃપુરુષાર્થ કરતાં ભિન્ન ચૈતન્યજ્યોતિ અંદર પ્રકાશિત-પ્રગટ થાય છે. અહીં કહે છે-આવી અંતરંગમાં પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ જરાપણ અજ્ઞાનરૂપ, મિથ્યાત્વરૂપ ને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી મુનિવરો શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી; અર્થાત્ મુનિવરોને શુભાશુભ બંધન હોતું નથી. આને બાપા! મુનિ કહેવાય. અહો! મુનિપણું કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે! અરે! લોકોને બિચારાઓને અંતરંગ મુનિદશાની ખબર નથી!
‘આ જે અધ્યવસાનો છે તે-હું પરને હણું છું એ પ્રકારનાં છે, હું નારક છું-એ પ્રકારનાં છે તથા હું પરદ્રવ્યને જાણું છું-એ પ્રકારનાં છે.’
જોયું? ૧. હું પરને હણું છું-જિવાડું છું, પરને દુઃખી-સુખી કરું છું વગેરે, ૨. હું નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ છું, તથા ૩. હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું-એમ ત્રણ પ્રકારે અધ્યવસાનો હોય છે. તેઓ કયાં સુધી હોય છે? તો કહે છે- ‘તેઓ જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે.
કેવાં છે તેઓ? ‘ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાત્વરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે.
તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે.’ અહાહા...! હું પરને જિવાડું, સુખી કરું ઈત્યાદિ અધ્યવસાન જ મુનિવરોને હોતા નથી; કેમકે પરને કોણ જિવાડી શકે? કોણ સુખી કરી શકે? વળી પર ચીજ