સમયસાર ગાથા-૨૭૨ ] [ ૨૨૭ ડૂબી જાય છે. અરે ભાઈ! મારગને જાણ્યા વિના ૮૪ લાખ યોનિમાં અવતાર કરી કરીને તારા સોથા નીકળી ગયા છે. અહા! નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કરતો થકો ઉપરા ઉપરી અનંત અનંત ભવ કરી તું મહાદુઃખી થયો છે; તો હવે તો ચેત, અને પરાશ્રયની ભાવના છોડીને સ્વાશ્રય પ્રગટ કર.
અરે ભાઈ! આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે; ‘કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે મુક્ત નહિ થતો એવો અભવ્ય પણ કરે છે.’
જુઓ, આત્માશ્રિત નિશ્ચયનય અર્થાત્ સ્વસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે, પણ પરાશ્રિત વ્યવહારનો આશ્રય કરનારાઓનો કદીય મોક્ષ થતો નથી.
ત્યારે કોઈ લોકો કહે છે-તમે નિષેધ કરો છો ને પાછો વ્યવહાર તો કરો છો. આ જિનમંદિર, સમોસરણમંદિર, માનસ્થંભ, આગમમંદિર ઇત્યાદિ બધાં કર્યાં એ બધો વ્યવહાર નથી શું?
પણ એ બધાંને કોણ કરે બાપુ? એ મંદિર આદિ તો એના કાળે થવાયોગ્ય હતાં તે થયાં છે અને તે તે કાળે જે શુભભાવ થયો તે હોય છે પણ એ કાંઈ આશ્રય કરવા લાયક નથી વા તે કર્તવ્ય છે એમ નથી. ભાઈ! આ ઉપદેશ દેવાનો વિકલ્પેય શુભરાગ છે, તે આવે ખરો પણ તે કરવાયોગ્ય કર્તવ્ય નથી, ધર્મ નથી.
અહાહા....! ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’ અહાહા...! ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે; એનો આશ્રય કરનારા મુનિવરો મુક્તિને પામે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારાઓ ધર્મ પામતા નથી. આવો મારગ પ્રભુ! મુક્તિનો પંથ મહા અલૌકિક છે. જેમાં એક સ્વનો જ આશ્રય સ્વીકૃત છે. સજ્ઝાયમાળામાં આવે છે કે-
મોહતણા રણિયા ભમેજી, જાગ જાગ મતિમંત રે. -સહજાનંદી
અહાહા...! સહજાનંદસ્વરૂપ આત્મા છો ને પ્રભુ! તું. સ્વરૂપને જાણ્યા વિના બેખબર થઈ કયાં સૂતો છે પ્રભુ! અરે! જો તો ખરો! આ સ્વ-પરની એકતાબુદ્ધિરૂપી ચોર ભમી રહ્યો છે. જાગ રે જાગ નાથ! સ્વરૂપમાં જાગ્રત થા. આ જગતના લોકો-બાયડી છોકરાં વગેરે તને લૂંટી રહ્યાં છે. ભાઈ! તેમનામાં ઘેરાઈ ને તું લૂંટાઈ રહ્યો છે તો જાગ ને સ્વને સંભાળ. સ્વમાં જાગનારા કોઈ વિરલા જ બચે છે. અહીં