૨પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પછી ગાથા ૨૭૩ માં પરાશ્રિત વ્યવહાર કેવો અને કેટલો એની વાત કરી. ત્યાં કહ્યું કે ભગવાન જિનેશ્વરદેવે કહેલો એવો ને એટલો સઘળો વ્યવહાર અભવ્ય પાળે તોય તેને એ ગુણ કરતો નથી. હવે અહીં જ્ઞાનની વાત કરે છે. કહે છે-અહા! ભગવાન જિનવરદેવની દિવ્યધ્વનિથી જે બાર અંગરૂપ શ્રુત રચાયું તેમાં અગિયાર અંગનું જ્ઞાન તેને હોય તોય શાસ્ત્ર ભણવાનો ગુણ જે શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન તે તેને નહિ હોવાથી તે અજ્ઞાની છે. અહા! ભગવાનની વાણીમાં એમ આશય આવ્યો કે-શાસ્ત્રજ્ઞાનની ને સઘળાય વ્યવહારની અપેક્ષા છોડી દઈને તું તને સીધો જાણ. અહા! પંચમ આરામાં પણ આવી અલૌકિક વાત! અહો! આચાર્યદેવે શું પરમામૃત રેડયાં છે!
ઓહોહો...! ગાથાએ ગાથાએ કેવી વાત કરી છે! એક જણ કહેતો હતો કે આપ સમયસારનાં આટઆટલાં વખાણ કરો છો પણ મેં તો એ પંદર દિ’ માં વાંચી કાઢયું. શું વાંચ્યું? કીધું. ભાઈ! એના અક્ષર અને શબ્દ વાંચી જવાથી કાંઈ પાર પડે એમ નથી. અહાહા...! શાસ્ત્ર ભણવાનો ગુણ તો ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય તે છે. હવે એ તો થયું નહિ તો શું વાંચ્યું? શાસ્ત્ર ભણવામાત્રથી આત્મજ્ઞાન ન થાય ભાઈ! પણ ભિન્નવસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.
અહા! આ વીતરાગની વાણીનો પોકાર છે કે અગિયાર અંગનું જ્ઞાન એણે અનંતવાર કર્યું, અને શાસ્ત્રમાં કહેલો વ્યવહાર એણે અનંતવાર પાળ્યો અને નવમી ગ્રૈવેયકમાં તે અનંતવાર ગયો પણ અભવ્યનો એકેય ભવ ઘટયો નહિ.
ત્યારે કોઈ વળી કહે છે-એ તો અભવ્યની વાત છે. ભવ્ય જો આવો વ્યવહાર પાળે તો એને શુદ્ધાત્માનું જ્ઞાન થઈ જાય.
ભાઈ! એમ નથી. બાપા! આ તો અભવ્યના દ્રષ્ટાંતથી એમ સિદ્ધ કર્યું કે ભવ્ય પણ એની જેમ આવાં વ્રત, તપ આદિ ક્રિયાકાંડ કરી કરીને મરી જાય સૂકાઈ જાય તોપણ એ વડે એનો એક પણ ભવ ઘટે એમ નથી. અહા! આવી બહુ આકરી વાત લાગે પણ શું થાય?
અહા! કહે છે- ‘ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્રભણતર વડે કરી શકાતું નથી.’
અહા! ‘ભિન્નવસ્તુભૂત જ્ઞાન’ એટલે શું? એટલે કે નિમિત્ત અને રાગ- વ્યવહારથી ભિન્ન એકલું જ્ઞાન. બસ. શું કીધું? અહાહા...! આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એકલો જ્ઞાનમય-જ્ઞાનસ્વરૂપ જ છે. બસ જાણવું, જાણવું એવો જ જેનો સ્વભાવ છે અર્થાત્ એવા સ્વરૂપ જ આત્મા છે. અહા! એને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને, કહે