Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2879 of 4199

 

સમયસાર ગાથા-ર૯૪ ] [ ૩૯૯

એ જ વિશેષ કહે છે - ‘તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે.’

અહા! જોયું? પ્રજ્ઞા વડે તેમને એટલે વિકાર અને ભગવાન આત્માને છેદવામાં આવતાં તેઓ અવશ્ય નાનાપણાને એટલે અનેકપણાને પામે છે. પહેલાં બે એક થઇ ને રહ્યાં હતાં તે હવે પ્રજ્ઞા વડે છેદવામાં આવતાં બે છે તે બે ભિન્ન થઇ જાય છે; આત્મા આત્માપણે રહે છે ને રાગ રાગપણે રહે છે. બે એક થતાં નથી. આત્મા રાગનો માત્ર જાણનાર થઇ જાય છે. ભાઈ! આવું અંદર ભેદજ્ઞાન કરવું એનું નામ ધર્મ છે, અને આ જ કર્તવ્ય છે.

અહા! લોકો તો એકાદ કલાક વ્યાખ્યાન સાંભળી આવે અથવા સામાયિક લઇને બેસી જાય અથવા ણમોકાર મંત્રને જપ્યા કરે એટલે માને કે થઇ ગયો ધર્મ. અરે! લોકોએ ધર્મનું સ્વરૂપ મચડી-મરડી માર્યું છે. સંતો કરુણા કરીને કહે છે - એકવાર સાંભળ ભાઈ! આ બધી ક્રિયાઓમાં જો શુભરાગ હશે તો પુણ્યબંધ થશે પણ એનાથી ભિન્ન પડવાના ઉપાયની - સાધનની ખબર વિના અનંતકાળેય સંસારની રઝળપટ્ટી નહિ મટે, સંસારનો પારાવાર કલેશ નહિ મટે. નિર્જરા અધિકારમાં કહ્યું છે કે એ રાગ બધો કલેશ છે. ત્યાં કહ્યું છે - ‘ि्र्रक्लइयन्तां’ કલેશ કરો તો કરો, પણ એનાથી ધર્મ નહિ થાય.

અહા! શું કહીએ? રાગ ને જ્ઞાનાનંદ પ્રભુ આત્માને એકપણું માનનાર જૈન જ નથી. જૈન પરમેશ્વર જૈન કોને કહે છે એની એને ખબર નથી. આ મહિના મહિનાના ઉપવાસ, વર્ષીતપ ઇત્યાદિ કરે છે ને? પણ બાપુ! એ તો બધો રાગ છે, એમાં ધર્મ ક્યાં છે? એને તો હું આત્મા છું એની ખબરેય નથી તો ધર્મ કેમ થાય?

પ્રશ્નઃ - ઉપવાસ, વર્ષીતપને તપ કહ્યું છે ને? ઉત્તરઃ– તપ કોને કહેવું ભાઈ! જેમ સોનાને ગેરુ લગાડતાં ઓપે એમ ભગવાન આત્મા સ્વરૂપમાં પ્રતપે, તેમાં લીન થઇ ઓપે-શોભે તેને ભગવાન તપ કહે છે. ઉપવાસાદિને તપની સંજ્ઞા તો ઉપચારમાત્ર છે. ‘સ્વરૂપે પ્રતપનં ઇતિ તપઃ’ સ્વરૂપમાં પ્રતપવું - પ્રતાપવંત રહેવું તે તપ છે.

પ્રશ્નઃ - ભરત ચક્રવર્તી મખમલનાં ભારે કિંમતી ગાદલામાં સૂવે તોય તેને તમે ધર્મી કહો છો અને અમે ઉખલા સૂઇ રહીએ છતાં અમને ધર્મ નહિ; આ તો કેવો ન્યાય?

ઉત્તરઃ– બાપુ! ગોદડે સૂવે ન સૂવે એની સાથે ધર્મને શો સંબંધ છે? અંદર રાગ સાથે એકપણું જેને છૂટી ગયું છે તે ધર્મી છે, અને રાગથી જેને એકપણું છે તે અધર્મી છે. અહા! ભરત ચક્રીને ઘરે ૯૬ હજાર રાણીઓ હતી, છતાં રાણીઓ અને તે સંબંધી રાગ- એમાં એકપણું ન હતું. એ બધાં મારાં છે એમ પરમાં આત્મબુદ્ધિ