સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૦૭
શું કહ્યું? કે જ્યાં એક ચેતનગુણ છે ત્યાં બીજી અનંત શક્તિઓ-ચારિત્ર, સુખ, વીર્ય, જીવત્વ, કર્તા, કર્મ, કરણ આદિ એકરૂપ અવિનાભાવે છે; અને જ્યાં ચેતનની એક સમયની પર્યાય છે ત્યાં સાથે એ અનંતગુણની દશાઓ એક અવિનાભાવી છે. અહા! આવો આત્મા જાણનમાત્રસ્વરૂપ ચૈતન્યપ્રકાશથી ભરપૂર ચૈતન્યસૂર્ય છે. આ આંખે દેખાય છે ને? એ તો જડ સૂર્ય છે; એને તો ખબરેય નથી કે હું પ્રકાશનું બિંબ છું. આ તો એક સમયની ચૈતન્યપરિણતિમાં જે પૂરણ ચૈતન્યસ્વભાવી ચૈતન્ય પ્રકાશનો ગોળો જણાય છે તે ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા છે એમ વાત છે. અહા! આવો ચિન્માત્ર પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરવો એમ કહે છે? પણ અંદર નજરુ કરે તો નિશ્ચય થાય ને? પણ એ અંદર જુએ જ નહિ તો શું નિશ્ચય કરે?
ભાઈ! અમારી પાસે તો આ (- આત્માની) વાત છે. અહા! જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવે જેવું આત્માનું સ્વરૂપ કહ્યું તેવું આચાર્ય કુંદકુંદદેવે ગાથામાં કહ્યું છે; અને ગાથાના ભાવોને, જેમ કોઈ બળુકી બાઈ ગાયના આંચળમાંથી દોઈને દૂધ કાઢે તેમ, આચાર્ય અમૃતચંદ્રદેવે દોહી દોહીને બહાર કાઢયા છે. અહો! કોઈ અદ્ભુત અલૌકિક ટીકા છે!
પ્રશ્નઃ - પણ આટલું બધું યાદ શી રીતે રહે? ઉત્તરઃ - રસ-રુચિ હોય તો બધું યાદ રહે. એમાં શું છે? જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય - પુરુષાર્થ કામ કર્યો વિના રહેતો નથી.
હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છેઃ- ‘બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે.’
શું કીધું? કે રાગાદિક એટલે આ શુભાશુભ ભાવ, પુણ્ય - પાપના ભાવ એ બંધનું સ્વલક્ષણ છે. પુણ્ય - પાપના ભાવ કાંઈ આત્માનું લક્ષણ નથી અહા! પાપભાવ તો નહિ પણ પુણ્યના ભાવ પણ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા! પુણ્યભાવથી અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ કરતાં કરતાં આત્મા જણાય એમ કોઈ કહે તો એ ખોટું છે. અહા! એ બંધભાવથી અબંધ આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય.
એ રાગાદિક પુણ્ય-પાપના ભાવ આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા નથી. એટલે શું? કે તેઓ આત્મદ્રવ્ય સાથે સદાય રહેતા હોય એમ દેખાતું નથી. જુઓ, શરીરાદિની તો અહીં વાત જ નથી લીધી કેમકે તેઓ તો પ્રગટ જુદેજુદા છે. અહીં કહે છે - જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં રાગાદિ એવું દેખાતું નથી. તેઓ સદાયચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. અહા! બંધલક્ષણવાળા પુણ્ય - પાપના ભાવો ચૈતન્ય