સમયસાર ગાથા-૨૯પ ] [ ૪૨૧
‘આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા.’
‘પ્રથમ તો’ -સંસ્કૃતમાં ‘तावत्’ શબ્દ છે ને? એટલે કે સમકિત પામવા પહેલાં અને પામવા કાળે સૌ પહેલાં શું કરવું? પહેલામાં પહેલું આ કરવું એમ કહે છે. શું? કે તું આત્મા કોણ છો? ને આ વિકાર કોણ છે? અહા! એ બન્નેના નિયત સ્વલક્ષણોને જાણીને-નિશ્ચિત કરીને જ્ઞાન વડે બન્નેને સર્વથા જ છેદવા-ભિન્ન કરવા. અહા! પોતે ત્રિકાળ શાશ્વત શુદ્ધ એક ચેતનાલક્ષણ જીવ છે ને આ રાગાદિ વિકારના ઉત્પન્નધ્વંસી ક્ષણિક ભાવો બંધનું લક્ષણ છે એમ બન્નેને નિયત સ્વલક્ષણોના ભેદથી ભિન્ન જાણી જ્ઞાન વડે બન્નેને સર્વથા જ ભિન્ન કરવા. રાગ વડે છેદવા એમ નહિ; રાગ તો અજ્ઞાનમય જડ આંધળો છે, એનાથી કેમ છેદાય? ન છેદાય. વળી ‘સર્વથા જ’ છેદવા એમ કહ્યું છે; મતલબ કે સમસ્તપણે છેદવા એમ કહેવું છે. ભાઈ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવની આ આજ્ઞા છે.
લોકો કહે છે ને? કે દયા પાળો, વ્રત કરો, દાન કરો, ભક્તિ કરો, પૂજા કરો-એ કરતાં કરતાં (નિશ્ચય ધર્મ) થશે; પણ એની અહીં ના પાડે છે. અહીં તો કહે છે-એ સર્વ વ્યવહાર છે તે રાગ છે, બંધનું લક્ષણ છે અને એને સર્વથા જ ભિન્ન પાડતાં લાભ થાય, સમકિત થાય, એનાથી ન થાય; એનાથી તો બંધ થાય. વ્યવહાર પહેલો ને નિશ્ચય પછી એમ અહીં કહ્યું નથી. કોઈ ઠેકાણે શાસ્ત્રમાં એમ આવે તો એ ભૂતનૈગમનયે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે એમ યથાર્થ સમજવું. (અને એ તો જેને સમકિત થયું છે એની વાત છે).
કોઈને થાય કે બહારમાં ગીલોડાં વગેરે શાકના છરી વડે કટકા કરવાનું કહે તો એ તો સમજાય પણ આને (-આત્મા અને બંધને) સર્વથા જ જુદા કરવાનું શેં સમજાય? એમ કે આ સમજાતું નથી.
અરે ભાઈ! શાકના કટકા તો તું કયાં કરી શકે છે? શાકના કટકા કરવાનું તો તારું સામર્થ્ય જ નથી. (પરદ્રવ્ય પરદ્રવ્યનું કાંઈ કરે એવું કોઈ દ્રવ્યમાં સામર્થ્ય જ હોતું નથી). પણ રાગથી-બંધથી ભિન્ન પોતાના આત્માને અનુભવવો એ તો તારું સામર્થ્ય છે. અંતર્મુખ વળેલી જ્ઞાનની દશા વડે ભિન્ન આત્માને અનુભવી શકાય છે. ભાઈ! આ તો તને સમજાય એવું છે ને નાથ!
અહા! પણ એને કયાં સમજવાની દરકાર છે? અરેરે! ચિદાનંદઘન પ્રભુ આત્માની સમજણ વિના જગત આખું ચોરાસીના અવતારમાં રખડી-રવડી મરે છે! અનંતકાળમાં એને નારકી ને પશુના અનંતભવ કર્યા. કદાચિત્ મનુષ્ય થયો અને