ગાથા-૧૬] [ ૧૩ બધી (શાસ્ત્રોની) સાક્ષી અહીં પડી છે. આ તો જૈનધર્મ-વીતરાગનો માર્ગ છે. સર્વજ્ઞ વીતરાગદેવે ગણધર અને ઇન્દ્રોની વચ્ચે સમવશરણમાં જે દિવ્યધ્વનિ કરી હતી તે આ છે.
હવે ભાવાર્થમાં પંડિત જયચંદજી કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે આત્માની જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું-એ નિશ્ચય છે. અને વ્યવહારથી અન્યને એ જ ઉપદેશ આપવો. ઉપદેશ એ વ્યવહાર વિકલ્પરૂપ છે.
હવે, એ જ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ-
‘प्रमाणतः’ પ્રમાણદ્રષ્ટિથી જોઈએ તો ‘आत्मा’ આ આત્મા ‘समम्’ એકીસાથે ‘मेचकः’ અનેક અવસ્થારૂપ એટલે પર્યાયના ભેદરૂપ મેચક પણ છે ‘च’ અને ‘अमेचकः अपि’ એક અવસ્થારૂપ અભેદ અમેચક પણ છે. હવે એનો ખુલાસો કર્યો કે એને ‘दर्शन–ज्ञान–चारित्रैः त्रित्वात्’ દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે એ વ્યવહાર છે તથા ‘स्वयम् एकत्वतः’ પોતાને પોતાથી એકપણું છે એ પરમાર્થ છે. એકત્વ એટલે એકરૂપ ત્રિકાળી સ્વભાવ એ એકપણું એ નિશ્ચય અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણું-અનેકપણું એ વ્યવહાર. અહાહા! શૈલી તો જુઓ. વસ્તુ જ્ઞાયકભાવ એકરૂપ સ્વભાવ, અખંડ જ્ઞાનનો પુંજ-સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞસ્વભાવી પદાર્થ એક સ્વભાવ વસ્તુ છે એની દ્રષ્ટિ અને એકાગ્રતા એ નિશ્ચયથી એની સેવના છે અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ભેદને સેવવા એમ કહેવું એ વ્યવહાર કથન છે. વ્યવહાર ભેદરૂપ હોવાથી તેને મલિન કહ્યો છે. એકરૂપ સ્વભાવ નિર્મળ છે અને અનેક સ્વભાવને- મલિન કહેવાનો વ્યવહાર છે.
“પ્રમાણદ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એક-અનેકરૂપ દેખવો.” ત્રિકાળ દ્રવ્યપણે એક અને પર્યાયપણે અનેક; દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ અનેક અને આત્મા (દ્રવ્યે) એક. એ બન્નેને પ્રમાણથી એક સાથે દેખવું અને જાણવું એમ કહે છે. ‘સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્રને સેવવાં’ એ વ્યવહારથી કથન છે, એ ભેદ કથન છે, મલિન છે, અનેક સ્વભાવરૂપ કથન છે, જાણવા લાયક છે. પણ એને પહેલાં આત્મા એકરૂપ છે, એક સ્વભાવી છે એવું જ્ઞાન થયું એમાં પર્યાય ત્રણ થઈ ગઈ. એકરૂપ દેખવો એ નિશ્ચય અને ત્રણરૂપ દેખવો એ વ્યવહાર છે. બન્નેને એકીસાથે દેખવો એ પ્રમાણ છે.
વસ્તુ જે છે એમાં પરની વાત જ નથી. શરીર, કર્મ, વાણી અને વિકલ્પની તો