સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૩૩ શુદ્ધ, સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર અને ધીર-એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન થયું.’
જોયું? કર્મનો નાશ કરી એટલે અજ્ઞાન અને રાગદ્વેષમોહરૂપી ભાવકર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું જ્ઞાન પોતાની સહજ સ્વભાવિક અવસ્થારૂપ છે અને તે અત્યંત નિર્વિકાર શુદ્ધ છે. અહાહા...! પરમાત્માને અશુદ્ધતાનો અંશ પણ રહ્યો નથી.
જ્ઞેયાકારોને ગૌણ કરતું એટલે શું? કે લોકાલોકને જાણે છે પણ લોકાલોકમાં તે તન્મય નથી. નિશ્ચયથી કેવલજ્ઞાન પોતાની પર્યાયને જાણે છે કે જેમાં લોકાલોક જણાય છે. લોકાલોકને જાણે છે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનય છે.
વળી લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમેય નથી. એ તો જ્ઞાનની પર્યાયની એ સહજ શક્તિ છે કે પોતે પોતાથી જ ષટ્કારકરૂપ થઈને લોકાલોકને જાણતી થકી પ્રગટ થાય છે. અહા! કેવલજ્ઞાનની પર્યાયનાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ ષટ્કારક પર્યાય પોતે જ છે; પરજ્ઞેય તો નહિ, પણ દ્રવ્ય-ગુણેય નહિ. અંદર શક્તિ છે; પણ પ્રગટ થવાનું સામર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. કેવલજ્ઞાન ખરેખર લોકાલોકને અડયા વિના, પોતાની સત્તામાં જ રહીને પોતેે પોતાથી જ પોતાને (-પર્યાયને) જાણે છે કે જેમાં લોકાલોક પ્રકાશિત થાય છે. અહા! પોતાની પર્યાયને જાણતાં લોકાલોક જણાઈ જાય છે.
વળી તે અત્યંત ગંભીર છે. અહા! જેનો પાર ન પમાય એવું કેવલજ્ઞાન અપાર ગંભીર છે અનંત લોકાલોક હોય તોય જણાઈ જાય એવું અપાર સામર્થ્ય સહિત તે ગંભીર છે; અને આકુળતા રહિત ધીર છે.
ભાઈ! તારા સ્વભાવનું સામર્થ્ય અંદર જ્ઞાન-દર્શનથી પૂરણ ભર્યું છે જેમાંથી કેવળજ્ઞાન ને કેવળદર્શન પાકે, પણ પુણ્યની અને બહારના મહિમા આડે તેની પ્રતીતિ આવતી નથી.
અહીં કહે છે-આ પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થયું તે અતિ ગંભીર અને આકુળતા રહિત ધીર છે અને તે પોતાના મહિમામાં અચળ લીન છે, નિજાનંદરસમાં જ લીન છે. હવે કહે છે-
ટીકાઃ- આરીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થઃ- રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.
જેમ સંસારદશા એક સ્વાંગ-ભેખ છે તેમ મોક્ષદશા પણ એક સ્વાંગ-ભેખ છે. સિદ્ધપદ-મોક્ષદશા સાદિ-અનંત સમયે સમયે નવી નવી પ્રગટ થાય છે. દ્રવ્ય-ગુણ નિત્ય