સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [૭
આ દેહમાં રહેલો ભગવાન આત્મા દેહથી તો ભિન્ન છે, કર્મથી તો ભિન્ન છે, પણ તેની એક સમયની દશામાં જે વિકારના- હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપના ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ પુણ્યના ભાવ થાય છે એનાથીય ભગવાન આત્મા અંદર ભિન્ન વસ્તુ છે. અહાહા...! ચૌદ ગુણસ્થાનથી વસ્તુ અંદર ત્રિકાળી ભિન્ન છે. લ્યો, આ જૈન પરમેશ્વર ભગવાન કેવળીનો ઢંઢેરો છે કે પર્યાયે-પર્યાયે બંધ-મોક્ષની પર્યાયની રચનાથી રહિત ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે ભિન્ન છે. અહા! આવી પોતાની ચીજનો આદર અને સ્વીકાર કરી તેમાં લીન થતાં પર્યાયમાંથી મલિનતાનો નાશ થાય છે અને નિર્મળતા ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ અને મોક્ષનો મારગ છે.
‘शुद्धः शुद्धः’ -એમ કહ્યું છે ને? મતલબ કે આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ વસ્તુ અંદર રાગાદિ મેલથી રહિત પરમ પવિત્ર નિરાવરણ શુદ્ધ છે, અત્યંત શુદ્ધ છે. અહાહા....! સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મની પહેલી સીડી-એનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે તે રાગાદિક મળ તેમ જ આવરણ-એ બન્નેથી રહિત અત્યંત શુદ્ધ છે. હવે આવી વાત એને કેમ બેસે?
પણ બાપુ! અંદર પોતાની ચીજ શુદ્ધ એક જ્ઞાનાનંદરસથી ભરેલી છે. એના ભાન વિના અનંતકાળથી ચોરાસીના અવતાર કરી કરીને એ દુઃખી થયો છે. અનંત અનંત ભવોમાં પારાવાર અકથ્ય વેદનાથી એના સોથા નીકળી ગયા છે. અરે! અનંત-કાળમાં એ સાધુ થયો, ત્યાગી થયો, અનંતવાર નગ્ન દિગંબર મુનિ થયો, પણ એ દશાઓથી ભિન્ન શુદ્ધ એક ચૈતન્યરસથી-આનંદરસથી ભરેલી પોતાની ચીજ અંદરમાં છે એની દ્રષ્ટિ કરી નહિ! અરે! ભગવાન સચ્ચિદાનંદની મૂર્તિ પ્રભુ અંદરમાં શાશ્વત ત્રિકાળ વિરાજે છે એને જોવાની એણે દરકાર કરી નહિ! અરે ભાઈ! અંતર્દ્રષ્ટિ વિના તારી બહારની ક્રિયાઓ બધી જ ફોગટ છે.
અહીં કહે છે-ભગવાન આત્મા જેનું પવિત્ર અચળ તેજ નિજરસના-ચૈતન્યરસના ફેલાવથી ભરપૂર છે એવો, અને જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો છે. અહાહા...! ભગવાન આત્મા કદીય ચળે નહિ એવા અચળ એક શુદ્ધ જ્ઞાનપ્રકાશનો પુંજ છે. અહો! નિજરસથી-શુદ્ધ એક ચૈતન્યરસથી-ચિદાનંદરસથી ભરપૂર ભરેલી શું અદ્ભૂત આત્મવસ્તુ! શું એનો મહિમા અહીં કહે છે-એનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે અર્થાત્ સદા એકરૂપ પ્રગટ છે. અહા! આવો જેનો મહિમા સદા એકરૂપ પ્રગટ છે તે ભગવાન આત્મા સ્વાનુભવગમ્ય છે, સ્વસંવેદ્ય છે.
અહાહા....! કહે છે– ‘अयं ज्ञानपुञ्जः स्फूर्जति’ આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. એટલે શું? એટલે કે જેનું અચળ પવિત્ર તેજ નિજરસના-ચિદાનંદરસના