સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧] [૨પ હું કર્તાય નહિ, કારયિતાય નહિ અને કર્તાનો અનુમોદક પણ નહિ- આવું વસ્તુસ્વરૂપ છે. ભાઈ! આ સમજે એનું તો અભિમાન ઉડી જાય એવી વાતુ છે. શું થાય? અજ્ઞાની જ્યાં હોય ત્યાં એમ માને છે કે-અમે આ કર્યું ને તે કર્યું, છોકરાં પાળી-પોષીને મોટાં કર્યાં, ભણાવ્યાં-ગણાવ્યાં અને ધંધે લગાવ્યાં ઇત્યાદિ. પણ ભાઈ! એ બધી પરદ્રવ્યની અવસ્થાઓને કોણ કરે? એ તો બધી પોતપોતાના દ્રવ્યમાં થવા કાળે એના પોતાનાથી થાય છે. એને હું કરું એમ માને એ તો અજ્ઞાન છે.
આ લોકો ઉપવાસ કરે છે ને? ત્યાં તેઓ એમ માને છે કે-અમે આહાર-પાણી છોડી દીધાં. અરે ભાઈ! આહારાદિની તે અવસ્થા તે સમયે જે થવાની હતી તે એના પોતાનાથી થઈ છે. પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ ભગવાન! તારામાં ક્યાં છે? આહારાદિની તે કાળે આવવાની યોગ્યતા ન હોય તો આહારાદિ આવતાં નથી. અજીવની અવસ્થા અજીવથી જ ક્રમબદ્ધ થાય છે. જીવ તેમાં કાંઈ કરતો નથી. ભાઈ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરે ૐધ્વનિમાં જાહેર કરેલી વાત છે. ભગવાનનો આ ઢંઢેરો છે કે છએ દ્રવ્ય પોતપોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતા થકા સ્વતંત્ર છે. હવે દાખલો આપી સમજાવે છેઃ
‘કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે.’
જુઓ, શું કહે છે? આ કંકણ, કડુ, સાંકળી, વીંટી આદિ ક્રમે થતી સુવર્ણની અવસ્થાઓ છે, તે તે અવસ્થાઓથી ઉપજતા સુવર્ણને તે તે પોતાની અવસ્થાઓ સાથે તાદાત્મ્ય છે. પણ તે તે અવસ્થાઓ સાથે સોનીને તાદાત્મ્ય નથી. શું કીધું? સોની તે તે અવસ્થાઓથી ઉપજતો નથી. માટે સુવર્ણની તે તે અવસ્થાઓનો કર્તા સોની નથી. લ્યો, આવી વાત!
તેમ, કહે છે, સર્વ દ્રવ્યોને પોતપોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. અર્થાત્ પોતાના પરિણામોથી ઉપજતા દ્રવ્યના તે તે પરિણામોનું કર્તા અન્યદ્રવ્ય નથી, તે દ્રવ્ય પોતે જ છે. એ જ વિશેષ કહે છેઃ
‘આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે;...’
લ્યો, સર્વ દ્રવ્યો માટે આ સિદ્ધાંત છે. શું? કે સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. માટે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો