૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ભડભડતી જમશેદપુરની ભટ્ઠીમાં જીવતો નાખે તો જે દુઃખ થાય એથી અનંતગણું દુઃખ પહેલી નરકમાં છે. અહા! ત્યાં તું ભગવાન! દશહજાર વર્ષની સ્થિતિએ અને તેમાં એક એક સમય વધતાં વધતાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિએ-પ્રત્યેક આયુસ્થિતિમાં અનંત અનંત વાર જન્મ્યો છે. શું કીધું? દશહજાર વર્ષ, દશહજાર વર્ષ ને એક સમય, દશહજાર વર્ષ ને બે સમય, દશહજાર વર્ષ ને ત્રણ સમય.... એમ ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિએ પહોંચીને પ્રત્યેક આયુસ્થિતિમાં અનંતવાર ભગવાન! તેં જન્મ-મરણ કર્યાં છે. વળી પહેલી નરકની ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિ માંડીને એક એક સમયની સ્થિતિ વધતાં સાતમી નરકની ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરની સ્થિતિએ પહોંચી દરેકમાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. અહા! આવા અનંત અનંત ભવ અને અનંત અનંત દુઃખ! તું ભૂલી ગયો છે પ્રભુ! પણ મિથ્યાત્વને વશ તારી અનંતકાળના પરિભ્રમણમાં આવી ઘોર દુઃખની દશા થઈ છે.
આ કરોડોની સાહ્યબી, અનેક કારખાનાં, સ્ત્રી-કુંટુંબ-પરિવાર ઇત્યાદિ બહારની ચમક-દમકમાં તું રાજી-રાજી થઈ ગયો છું પણ આ દેહ છૂટવાના કાળે એ બધું છૂટી જશે ભાઈ! ત્યારે સગી પત્ની પણ તારી નહિ હોય એ તો કહ્યું છે ને કે-
કાઢો રે કાઢો રે એને સૌ કહે, જાણે કોઈ સગો જ નહોતો.
અહાહાહા....! જ્યાં દેહ પડયો ત્યાં કાઢો જ કાઢો- લ્યો, એમ સૌ મંડી પડે છે! અહાહાહા......!
આ રે કાયામાં હવે કાંઈ નથી, એમ ટગરટગર રૂવે.
બાપુ! આવા આવા પણ અનંત ભવ થયા; શું કામના? પોર-ગયે વર્ષે મુંબઈ ગયેલા; ત્યાં એક કરોડપતિ શેઠને ઘેર ગયા હતા. એની કરોડોની મિલ્કત. બંગલે ગયા તેમાંય બધે મખમલ પાથરેલું ને પાંચ-પચાસ લાખનું ફર્નીચર. મારા મનને થયું અરેરે! શેઠને અહીંથી (આના મોહપાશમાંથી) નીકળવું કઠણ પડશે! ત્યારે શેઠને કહ્યું-શેઠ! આ બધામાં (આ વૈભવમાં) ભગવાન આત્મા તું નહિ હોં; પ્રભુ! તું ક્યાં છો ને તારી ચીજ શું છે એની ખબર વિના તારા ભવનો અંત નહિ આવે, તું રઝળી મરીશ!
અહીં કહે છે-એ બહારનો વૈભવ તો દૂર રહો, આ દયા, દાન, વ્રત આદિના શુભભાવ પણ ત્યાં સુધી કરવાયોગ્ય ભાસે છે જ્યાં સુધી એને ભેદવિજ્ઞાનનો અભાવ