૩૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
આ ઉપરથી એમ સમજવું કે-પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શક્તા નથી. માટે ‘જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે’ એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪.
હવે આ કથનને દ્રષ્ટાંત દ્વારા ગાથામાં કહે છેઃ-
‘જેવી રીતે-શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્ય- પરિણામાત્મક (પરદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય-પરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય (કર્મકરણાદિમય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.’
‘જેવી રીતે શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યા- પરિણામાત્મક કર્મ તેને કરે છે,....’ અહાહા.....! જોયું? કુંડળ આદિ જે કર્મ નામ કાર્ય છે તે પરદ્રવ્ય પરિણામાત્મક છે. હવે આમાં બધા વાંધાઃ એમ કે શિલ્પી-સોની આદિ કરે છે એમ કહ્યું છે ને?
બાપુ! ‘કરે છે’ -એમ કહ્યું એ તો વ્યવહાર દર્શાવ્યો છે, બાકી સોની આદિ ક્યાં એમાં તન્મય છે?
પણ કરી શકે તો ‘કરે છે’ -એમ કહે ને?
એમ નથી ભાઈ! કરી શકતો નથી, પણ નિમિત્તની મુખ્યતાથી ‘કરે છે’ -એમ કહેવાનો વ્યવહાર છે એમ અહીં કહેવું છે. સમજાણું કાંઈ.....? સોની કુંડળને કરી શકે છે એમ નહિ, પણ તે કુંડળને કરે છે એમ વ્યવહારથી કહેવાય છે, બોલાય છે. લ્યો, હવે આવી ઝીણી વાત!
આત્મા પરની દયા પાળી શકે, શરીરને હલાવી-ચલાવી શકે, વાણી બોલી શકે,