Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3463 of 4199

 

૧૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ઉપજતાં થકાં, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.’

‘એવી રીતે-બધાંય દ્રવ્યો....’ અહાહા....! જોયું? અનંતા જીવ, અનંતાનંત પુદ્ગલો આદિ બધાંય દ્રવ્યોમાં આ સિદ્ધાંત કહે છે. ઘડાનું તો દ્રષ્ટાંત કહ્યું, હવે પૂછે છે કે- પોતાના પરિણામભાવરૂપે ઉપજે છે તે પ્રત્યેક દ્રવ્ય (બધાય દ્રવ્ય) શું નિમિત્તભૂત બીજા દ્રવ્યના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? અહાહા....! શું કીધું? કે ભગવાનના જિનબિંબના દર્શન કરવાના ભાવ થયા તે શુભભાવની પર્યાય નિમિત્તભૂત જિનબિંબના સ્વભાવે થઈ છે કે પોતાના સ્વભાવથી થઈ છે? ગજબ વાત છે ભાઈ! તે શુભભાવની પર્યાય પોતાથી (પોતાના સ્વભાવથી) થઈ છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી ઉપજે છે, નિમિત્તભૂત અન્યદ્રવ્યના સ્વભાવથી નહિ. જીવમાં જે રાગદ્વેષના પરિણામ થાય તે પોતાથી થાય છે, નિમિત્તભૂત અન્યદ્રવ્યથી (કર્મથી) નહિ. જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી વસ્તુ ઉપજતી હોય તો તે નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે થવી જોઈએ. પણ, કહે છે, એમ તો થતું નથી. કેમ? કેમકે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.

આ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું શરીર અને હું એ બધાંનાં કામ કરું એ વાત રહેવા દે ભાઈ! કેમકે તારી પર્યાય એ સર્વથી ભિન્ન છે, અહાહા....! દરેક દ્રવ્યની વિકારી કે અવિકારી પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યથી નહિ. આ તો મૂળ સિદ્ધાંત છે બાપુ! જો નિમિત્તભૂત અન્યદ્રવ્યથી થાય તો તે અન્યદ્રવ્યના આકારે થઈ જાય. પણ એમ થતું જ નથી. કર્મથી જો જીવને વિકારના પરિણામ થાય તો ચેતનમાં-જીવમાં થતો વિકાર કર્મના આકારરૂપે થવો જોઈએ. પણ એમ થતું જ નથી. સંપ્રદાયમાં એવું માને છે કે ‘કર્મને લઈને વિકાર થાય’ પણ એ માન્યતા યથાર્થ નથી. જીવને જ્ઞાનની હીણી દશા થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ; જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે જ્ઞાનની પર્યાય હીણી થઈ એમ નથી. બીજું દ્રવ્ય નિમિત્ત હો, પણ નિમિત્તભૂત દ્રવ્ય આનું કાંઈ કરતું નથી. જ્ઞાનની હીણી અવસ્થા છે તેને જ્ઞાનાવરણીય કર્મ તો અડતુંય નથી.

આ આંખની પાંપણ હલે છે ને? તે પોતાથી હલે છે. આત્માની હલાવી હલે છે એમ છે નહિ. જો આત્માની હલાવી હલે તો પાંપણ આત્મારૂપ થઈ જાય, આત્માનો સ્વભાવ તેમાં આવી જાય; પણ એમ કદી બનતું જ નથી કેમકે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અહો! દિગંબર સંતોએ જાણે કેવળીના પેટમાં