ભાવાર્થઃ– કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (- કર્મ અને કર્મફળ તરફ જ-) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ૨૨૪.
-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છેઃ-
‘જે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વ કર્મને (ભૂતકાળના કર્મને) પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે;...’
જુઓ, અહીં એમ સિદ્ધ કરવું છે કે વર્તમાન દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે પરિણામ થાય તે દોષ છે, તે આત્માની દશા નથી. બહુ આકરી વાત બાપા! પણ આ સત્યાર્થ છે. શું? કે છ કાયાના જીવોની રક્ષાના પરિણામ ને પાંચ મહાવ્રત પાળવાના પરિણામ થાય તે દોષ છે, ગુણ નથી. એ દોષથી ખસીને નિજ અંતરસ્વરૂપમાં- જ્ઞાનાનંદસ્વરૂપમાં રમે તેને ચારિત્ર કહીએ. હવે આવો વીતરાગનો અનાદિનો સનાતન ધર્મ છે.
અહાહા...! ભગવાન આત્મા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રકાશ ને વીતરાગના સ્વભાવથી અંદર પૂરણ ભરેલો પ્રભુ છે. અંદર પૂરણ સ્વભાવ ન ભર્યો હોય તો અરિહંત અને સિદ્ધદશા પ્રગટે કયાંથી? પણ એને આ બેસવું કઠણ પડે છે. અંદર વિશ્વાસ આવવો એ દુર્લભ ચીજ છે; અશકય નથી પણ સમ્યગ્દર્શન થવું એ દુર્લભ તો અવશ્ય છે; કેમકે હું કોણ છું? -એનો એણે કોઈ દિ’ વિચાર જ કર્યો નથી.
અહીં કહે છે-પુદ્ગલકર્મના વિપાકથી થતા ભાવોથી જે પોતાને નિવર્તાવે છે. તે આત્મા પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકો પોતે જે પ્રતિક્રમણ છે. આઠ કર્મ છે તે જડ માટી ધૂળ છે, રજ છે. લોગસ્સમાં આવે છે ને કે- ‘વિહુયરયમલા’ -અર્થાત્ ભગવાન