૮૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
હવે કહે છે- ‘અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે.’
જુઓ શું કહે છે આ? કે પુણ્ય-પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે; અને તેથી કર્મનો બંધ થાય છે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. હવે આવી ચોખ્ખી વાત છે. ભાઈ! શાંતિ અને ધીરજ રાખીને માર્ગ સમજવો જોઈએ, આમાં કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. ભગવાન જિનચંદ્ર ચૈતન્યપ્રકાશનો પુંજ પોતે છે તેને ભૂલીને વ્રતાદિના રાગમાં એકાગ્ર થઈ વર્તે તે મિથ્યાત્વના અંધકારમાં જ આથડે છે, તેનું સંસાર-પરિભ્રમણ મટતું નથી. સમજાણું કાંઈ....!