લ્યો, આ પ્રતિક્રમણની વિધિ ભૂતકાળમાં જે કાંઈ શુભાશુભ કર્મ કર્યાં હતાં તેનો ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરીને, તેનું મમત્વ છોડીને નિજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં લીન થઈ તેમાં જ રમે તેને ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. અહા! નિરંતર નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે તે પ્રતિક્રમણ છે. આ વિધિ છે. હવે કહે છે-
‘મિથ્યા કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ- જેવી રીતે કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતુંઃ પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે;......’ જુઓ, આ દ્રષ્ટાંત કહ્યું. હવે કહે છે-
‘તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે.’ અર્થ સ્પષ્ટ છે. એમ કે પૂર્વે કર્મ બાંધ્યું હતું તે હું નહિ, અને તેનું ફળ આવ્યું તે પણ હું નહિ-એમ જાણી તેનું મમત્વ છોડી દીધું અને સ્વસ્વરૂપમાં લીન રહ્યો તો જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ થયું. લ્યો, આવી પ્રતિક્રમણની વિધિ છે.
‘આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ) સમાપ્ત થયો.’ હવે ટીકામાં આલોચના-કલ્પ કહે છેઃ- ‘હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી અને કાયાથી ૧.’
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ સમજવા. (મૂળ પાઠમાંથી સમજવા) (આ રીતે પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-
(નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે) ‘मोहविलासविजृम्भितम् इदम् उदयत् कर्म’ મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ ‘सकलम् आलोच्य’ તે સમસ્તને આલોચીને (-તે સર્વ કર્મની આલોચના કરીને-) ‘निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते’ હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તું છું.
જુઓ, સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની પુરુષ, તેને જે દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ આવે