૧૧૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે તેનો કર્તા નથી, જ્ઞાતા-દ્રષ્ટા છે. અહા! પોતાને રાગનો કર્તા માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે ભાઈ! ધર્માત્મા તો રાગને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભ ભાવ એ મોહનો વિલાસ છે ભાઈ! એ પુદ્ગલનો વિલાસ છે, એ કાંઈ જીવવિલાસ નથી. ધર્મી જીવ એને કાંઈ ચૈતન્યનો વિલાસ જાણતા નથી, પોતાની ચીજ જાણતા નથી. આ ભક્તિકાળે તેને જે ભગવાન પ્રતિ રાગ થાય છે તેને તે હેય જાણે છે. જેમ અંદર જ્ઞાયકસ્વરૂપનો તેને આદર છે તેમ રાગનો તેને આદર નથી. શુભરાગ આવે ખરો, પણ તેને તે હેય જ જાણે છે, અહીં તો એથીય વિશેષ ચારિત્રવંત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી એની વાત કરે છે.
જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે; જ્યારે ચારિત્રવંત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ-રમણતા થવાથી અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. અહાહા....! મુનિરાજ જાણે અકષાયી શાન્તિનો પિંડ!
અરે! અનંતકાળથી અજ્ઞાની જીવે રાગનું આચરણ કરી-કરીને પોતાને ધર્મ થાય છે એમ માન્યું છે. પણ તું છેતરાઈ રહ્યો છે ભાઈ! મારગ એવો નથી બાપા! રાગથી લાભ થવાનું માનીને તેં તારા ચૈતન્યને હણી નાખ્યું છે, ઘાયલ કર્યું છે ભાઈ! પાછો વળ બાપુ! જો, અહીં ધર્મી પુરુષ શું કહે છે કે-મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તની આલોચના કરીને નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. સમસ્ત કર્મને આલોચું છું. એટલે શું? કે તેનાથી ભિન્ન પડીને અંદર સ્વસ્વરૂપમાં લીન થાઉં છું. અહા! તે ઉદયમાન કર્મ મારી ચીજ નથી એમ જાણી નિષ્કર્મ એવા સ્વસ્વરૂપમાં જ નિરંતર વર્તું છું. લ્યો, આવી વાત! હવે લોકોને બિચારાઓને સત્ય સાંભળવા મળ્યું ન હોય એટલે વિરોધ કરે, પણ ભાઈ! જૈન પરમેશ્વરે વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. રાગને ધર્મ માને એ તો આત્મઘાતી મહાપાપી છે.
પ્રશ્નઃ– તો શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ, સ્તુતિ, દર્શન, પૂજા કરવાં ને વ્રત, તપ આચરવાં વગેરેનું વિધાન છે ને?
સમાધાનઃ– હા, છે; પણ એ બધાં વ્યવહારનાં કથન છે બાપુ! ધર્મી પુરુષોને તે તે ભાવો યથાસંભવ આવે છે તેનું ત્યાં શાસ્ત્રોમાં વિધાન છે. ધર્મ-પરિણતિની સાથે બહારમાં સહચરપણે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કરેલું હોય છે, પણ એ (-શુભરાગ) કાંઈ એના સમ્યગ્દર્શનનું કે ધર્મનું વાસ્તવિક કારણ નથી. ભાઈ! તે યથાર્થમાં ધર્માચરણ નથી, ધર્મનું કારણ પણ નથી. બાહ્ય લક્ષથી જો સમ્યગ્દર્શન થાય તો સમોસરણમાં તો એ અનંતવાર ગયો છે, છતાં