Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3571 of 4199

 

૧૨૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પરિણમન છે તેનો પોતે કર્તા છે એમ જાણે; કરવા લાયક છે એમ નહિ, રાગની એને રુચિ છે એમ નહિ, પણ પરિણમન છે તે અપેક્ષાએ તે કર્તા છે. અરે, રાગની રુચિ છે એ જીવ તો મિથ્યાદ્રષ્ટિ છે, તે વીતરાગ પરમેશ્વરની આજ્ઞા જાણતો નથી.

અરે! અજ્ઞાની શુભભાવ કરે ત્યાં રાજીરાજી થઈ જાય અને ફુલાઈ જાય કે મેં ધર્મ કર્યો, અરે ભાઈ! એ ધર્મ નથી, પણ ધર્મના નામે બધી ધમાધમ છે. ધર્મ વસ્તુ તો અંદરની ચીજ છે અને લોકો રોકાઈ ગયા છે બહારની ધામધૂમમાં, -એમ કે દાન કરો ને ભક્તિ કરો ને વ્રત કરો ને તપ કરો, પણ ભાઈ! એ બધી ક્રિયાઓ રાગની છે, બંધનનો મારગ છે. તેને જે કર્તવ્ય માને, ભલી માને તેને જૈન પરમેશ્વર જૈન કહેતા નથી. જુઓ, આ શું કહે છે? કે ધર્મી જીવ એમ જાણે છે કે શુભાશુભ કર્મ મારું કાર્ય નથી, હું તેનો કર્તા નથી કેમકે હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, જ્ઞાતા-દ્રષ્ટા છું.

ભાઈ! શરીરની ક્રિયા થાય એ તો જડની જડરૂપ છે. પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિની જે ક્રિયા થાય તે પણ મારી-ચૈતન્યની ક્રિયા નહિ. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, એમાં રાગનું કરવાપણું ક્યાં છે? ધર્મી પુરુષ કહે છે-રાગથી માંડીને બીજી બધી ચીજો મારા જ્ઞાનમાં પરજ્ઞેયપણે જાણવા લાયક છે. અહા! તે ચીજો મારી છે એમ હું કેમ માનું? ન જ માનું.

ભાઈ! શુભરાગ પણ મારો છે એમ માને તે જૈન નથી, તે અન્યમતી છે, અજ્ઞાની છે. હવે આવી વાત બહુ આકરી લાગે પણ શું થાય? ભગવાન કેવળીની દિવ્યધ્વનિ - ૐધ્વનિ છૂટી તેમાં આ વાત આવી છે. તે વાણી સુણી સંતોએ આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં કહે છે કે-શુભાશુભ કર્મ તે મારું કાર્ય નથી. હું તો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ મારી છે, પરંતુ રાગ થાય તે મારી પ્રવૃત્તિ નથી.

અહા! દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા-દેખવારૂપ પર્યાય પણ શુદ્ધ. વચ્ચે વિકલ્પ ઉઠે તે, ધર્મી કહે છે, મારું કાર્ય નથી. હું તો દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલાં કર્મોનો માત્ર દેખનાર-જાણનાર છું. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તું છું. લ્યો, આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચયચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? ભાઈ! તને ખબર નથી; જેમાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વીતરાગદેવે ચારિત્ર કહ્યું છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદની ભરતી (બાઢ) આવે તેને ચારિત્ર કહે છે.

ભાઈ! જ્યાં તું નથી ત્યાંથી ખસી જા, ને જ્યાં તું છો ત્યાં જા અને ત્યાં જ ઠરી જા-બસ આ જ મારગ છે. અરે! અજ્ઞાની જીવો કસ્તુરી મૃગની જેમ, પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને સુખ કાજે બહારના વિષયો ભણી આંધળી દોટ લગાવ્યા કરે છે,