Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3695 of 4199

 

૨૪૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે. પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ તે જ છે; માટે આત્માને તેમાં જ જોડવો જોઈએ. એ જ કહે છે-

‘વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.’

જુઓ, મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતોને વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગનાં સાધક કહ્યાં છે. વ્યવહારથી કહ્યાં છે એનો અર્થ શું? કે સાધક તો એક જ છે, પણ તેનું કથન બે પ્રકારે છે. એ તો મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું ને? કે મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગ તો એક જ છે. તેનું કથન બે પ્રકારે છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે દ્રષ્ટિ-જ્ઞાન- રમણતા થયા તે નિશ્ચય મોક્ષમાર્ગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, અને તેની સાથે વ્યવહારનો જે વિકલ્પ હોય છે તેને સહચર વા બાહ્ય નિમિત્ત જાણી, આરોપ દઈ ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ છીએ; પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેમ મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો કાંઈ મોક્ષમાર્ગનાં સત્યાર્થ સાધક છે એમ નથી. સમજાણું કાંઈ...? શ્રીમદ્જીએ કહ્યું છેઃ-

કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે.

અહાહા...! બાહ્યલિંગનો પક્ષ છોડી જેઓ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપના આશ્રયમાં ડૂબી ગયા તેઓ નિર્ગ્રંથ (મુનિવરો) છે, ને એવા નિર્ગ્રંથનો પંથ જ મોક્ષપંથ છે, એ જ ભવના અંતનો ઉપાય છે. બાહ્યલિંગ તો એ જ હોય, પણ તે મોક્ષનો પંથ નથી. ત્યારે શ્રીમદ્નો આધાર દઈ કોઈ વળી કહે છે-

જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ નહિ કોય.

આનો તેઓ એવો અર્થ કરે છે કે ગમે તે જાતિ અને વેશ હોય છતાં મોક્ષ થઈ જાય, પણ એ બરાબર નથી. વેશ-બાહ્યલિંગ તો નગ્નદશા જ અને પંચમહાવ્રતાદિ હોય, પણ એનો પક્ષ મોક્ષમાર્ગ નથી એમ વાત છે. અન્ય વેશ તો બાહ્ય લિંગ જ નથી. અન્યવેશમાં મુક્તિ થઈ જાય એમ ત્રણકાળમાં નથી; ચંડાળ જાતિ, સ્ત્રીજાતિ, અને વસ્ત્રસહિત વેશ હોય અને મોક્ષ થઈ જાય એમ કદીય બનતું નથી. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. વસ્ત્રસહિત મુનિપણું ત્રણકાળમાં હોઈ શકતું નથી. નિર્મળ દર્શન- જ્ઞાન-ચારિત્ર એ એક જ મોક્ષમાર્ગ છે, અને બાહ્યલિંગ પણ એક જ છે.