૩૦૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ અંગ કોને કહેવાય? તેનું જ્ઞાન શ્રી ગણધર ભગવાનને અંદર પ્રગટ થયેલું હોય છે. તેને દ્વાદશાંગ કહે છે. આ દ્વાદશાંગ વાણીને શબ્દબ્રહ્મ કહે છે. આ સમયપ્રાભૃતને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે, કારણ કે તે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્માને કહેનારું છે, બતાવનારું છે.
હવે કહે છે- ‘જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને “પરમાનંદ” કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે.’
અહા! પ્રત્યેક પદાર્થમાં જે ક્રિયા થાય તે તેની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા છે. પરમાણુની પ્રતિસમય જે અવસ્થા થાય તે પરમાણુની વ્યવસ્થા છે, આત્મા તેને કરે નહિ, કરી શકે નહિ; કેમકે આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત્ દેખાડે છે. અહો! આત્મા વસ્તુ છે ને સ્વયં અસ્તિ છે. તેને શાસ્ત્રથી જાણીને જે તેમાં જ ઠરશે તે, કહે છે, પરબ્રહ્મને પામશે. તેને અતિશય, ઉત્તમ, સ્વાધીન, અવિનાશી, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થશે. સ્વપરપ્રકાશક ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે, તેમાં જ દ્રષ્ટિ કરી, લીન-સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે. આવે છે ને કે-
તોરિ સકલ જગદંદ-ફંદ, નિત આતમ ધ્યાવો.’
અહા! સ્વસ્વરૂપ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દ્રષ્ટિ કરીને ઠરશે તે ઉત્તમ અનાકુળ સુખને પામશે; પરમબ્રહ્મ જેવો પૂર્ણાનંદ પ્રભુ છે તેવો પર્યાયમાં પોતે જ પ્રગટ થશે. લ્યો, આવી વાત!
હવે ઓલા મૂઢ લોકો પૈસામાં ને બાયડીમાં સુખ માને, ને રૂપાળા બંગલામાં સોનાના હિંડોળે હિંચવાથી સુખ માને, પણ એ તો બધી સુખની મિથ્યા કલ્પના બાપુ! ઝાંઝવાના જળ જેવી. એ તો બધી પર ચીજ છે, એમાં ક્યાં તારું સુખ છે? એમાં તું છો જ ક્યાં? અહીં તો એમ કહે છે કે- સર્વજ્ઞસ્વભાવી પ્રભુ તું પોતે જ સુખ-સ્વરૂપ છો, તેમાં દ્રષ્ટિ કરીને ઠરે તો તું ઉત્તમ અવિનાશી સુખને પ્રાપ્ત થઈશ. આ જ માર્ગ છે ભાઈ! હવે પ્રેરણા કરે છે કે-
‘માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણના અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.’
હવે, આ દાકતરી ને વકીલાતના અભ્યાસમાં તો કાંઈ (હિત) છે નહિ, એ તો પાપનો અભ્યાસ છે. માટે હે ભાઈ! નિજ કલ્યાણના અર્થે આ પરબ્રહ્મને પ્રકાશનારું - બતાવનારું એવું જે શાસ્ત્ર તેનો અભ્યાસ કરો, તેનું જ શ્રવણ-ચિંતન-મનન કરો ને