કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભૂત માહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ- એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી.- આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્હત્પ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મો્રહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્હત્પ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓના આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.
ભાવાર્થઃ– ગાથાસૂત્રમાં આચાર્યે ‘वक्ष्यामि’ કહ્યું છે તેનો અર્થ ટીકાકારે ‘वच् परिभाषणे’ ધાતુથી ‘પરિભાષણ’ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વમાં બાર ‘વસ્તુ’ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’ અધિકાર છે. તેમાં દશમાં વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું-પરિભાષાસૂત્ર બાંધ્યુ. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક ‘પરિભાષા’ જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.
આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને ‘સર્વ’ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય