તારો અંતઃપુરુષાર્થ તને સઘળું સુખ પૂરું પાડે એવી તારી ચીજ અંદર છે. (તેમાં એકાગ્ર થા.) અહો! બહુ ટૂંકામાં આ તો ગજબની વાત કરી છે.
અહાહા....! અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ પ્રકાશતો જ્ઞાનસ્વભાવી આત્મા નિજ જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરજ્ઞેયરૂપથી અતત્ છે. એટલે આત્માની વર્તમાન દશામાં પરજ્ઞેયથી કાંઈ થાય છે એમ જરીય નથી. ’ ૮૩ની સાલમાં ચર્ચા ચાલેલી. ત્યારે સામેથી કહે- સાહેબ, પચાસ ટકા આત્માના પુરુષાર્થના ને પચાસ ટકા કર્મ-નિમિત્તના રાખો; તો આપણે બધાને મેળ થઈ જાય. ત્યારે કહ્યું- આપણા મનમાં આપણે ગમે તે માનીએ, પણ વસ્તુને (વસ્તુના સ્વરૂપને) એ ક્યાં મંજુર છે? વસ્તુ તો કહે છે-સો એ સો ટકા પુરુષાર્થના છે, અને કર્મનો એક ટકોય નથી. ભાઈ! આત્મામાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણની જે જે પર્યાયો થાય છે તે સો એ સો ટકા પોતાથી-શુદ્ધ અંતઃપુરુષાર્થથી જ છે, પરથી કે રાગથી જરીય નથી. સમજાણું કાંઈ....? શું થાય? વસ્તુ જ પોતે આવી તત્-અતત્સ્વભાવ છે.
અરે! લોકોને બિચારાઓને આ વેપાર-ધંધાનું ને બાયડી-છોકરાંનું કરવા આડે આ સમજવાની ફુરસદ નથી!
હા, પણ સાહેબ! પરણતી વખતે બાયડીનો હાથ પકડયો હોય તેને કેમ તરછોડીએ? સાંભળ ભાઈ! ધીરો થા બાપુ! એ પરણેલીનો દેહ છે એ તો જડ ધૂળ છે બાપુ! એ તો તારાથી ભિન્ન છે. એને મારો માન્યો છે એ તો તારી ઊંધી પકડ છે. એના પ્રતિ મને જવાબદારી છે એમ માન્યું છે એય તારી ઊંધી પકડ છે. અને એ મમતા, એ પકડ જ તને દુઃખ કરે છે. જેનાથી તું અતત્ છો એનું હું કરું એ મમતા ચિરકાળ દુઃખ આપનારી છે ભાઈ!
‘બહાર પ્રગટ થતા, અનંત જ્ઞેયપણાને પામેલા’ -એમ કહ્યું છે ને? મતલબ કે ‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ -એવી આ વાત નથી. સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, દેહ, મન, વાણી ઈત્યાદિ પરજ્ઞેયો જગતમાં છે ખરા, પણ તે પરજ્ઞેયો વડે તને અતત્પણું છે, અર્થાત્ તેઓ તારામાં નથી, તેઓ તને કાંઈ કરી શકતા નથી, અને તું એમનામાં કાંઈ કરી શકતો નથી. તારા દ્રવ્ય-ગુણ-પર્યાયથી તું તત્ છો, ને પરદ્રવ્યો વડે અતત્ છો એનો આ આશય છે. સમજાણું કાંઈ.....?
શુભાશુભ વિકલ્પ પણ તારી ચીજ નથી ભાઈ! ભગવાનની ભક્તિ, પૂજા આદિ કરે છે ને? પણ એ વિકલ્પ તારા જ્ઞાનસ્વરૂપની ચીજ નથી; અને એનાથી જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ થશે એમ પણ નથી, કેમકે એ વડે તું અતત્ છો.
પ્રશ્નઃ– તો પછી આ બધાં મંદિરો તમે બીજાને દેખાડવા કરો છો?