Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3898 of 4199

 

પરિશિષ્ટઃ ૪૪૭

શુદ્ધસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો કોઈ પણ પરભાવ-પરજ્ઞેયને બાકી રાખ્યા વિના સર્વ પરભાવ તે હું છું -હું સર્વવ્યાપક છું -એમ માની અજ્ઞાની સ્વચ્છંદે ક્રીડા કરે છે-આચરણ કરે છે. લ્યો, આ મહાહિંસા છે જેના કારણે એને અનંતકાળ પશુગતિમાં-નિગોદાદિમાં રઝળપટ્ટી થાય છે. આવી વાત બાપુ!

હવે કહે છે– ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘स्वस्य स्वभावं भरात् आरूढः’

પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, ‘परभाव–भाव–विरह–व्यालोक– निष्कम्पितः’ પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે નથી- એમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, ‘विशुद्ध एव लसति’ શુદ્ધ જ વિરાજે છે.

અહાહા....! જોયું? કહે છે- સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે; તેને પરભાવોરૂપ ભવનના ત્યાગની દ્રષ્ટિ ખીલી ગઈ છે. અહાહા...! મારામાં આ જે કોઈ દશા પ્રગટ થાય છે તે મારામાં શક્તિરૂપે વિદ્યમાન છે તે પ્રગટ થાય છે, પરભાવોમાંથી તે આવે છે વા પરભાવને લઈને તે પ્રગટ થાય છે એમ છે નહિ-એમ તે યથાર્થ જાણે છે. અહા! એક સમયે એક (ચીજનું) જ્ઞાન છે, ને બીજે સમયે બીજું (બીજી ચીજનું) જ્ઞાન થાય છે એનું કારણ સામે ચીજ બદલાય છે તે નથી, એ તો પોતાના ભાવમાં જે શક્તિરૂપે પડી છે તે, તે કાળે વ્યક્તપર્યાયરૂપે પ્રગટ થાય છે. સામેની ચીજ તો નિમિત્તમાત્ર છે; લ્યો, ધર્મી પુરુષ આવું જાણે છે. સમયે સમયે પ્રગટ થતી પર્યાય એ તો સ્વ-ભાવની શક્તિની વ્યક્તિ છે અને તે એનો સ્વકાળ છે. ઓહો! ભાવમાં તો શક્તિરૂપે ત્રિકાળવર્તી બધી પર્યાયો પડેલી છે. સમજાણું કાંઈ....?

સમયસાર ગાથા ૪૯ માં અવ્યક્તના બોલમાં આવે છે કે -“ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંતર્લીન છે માટે (-આત્મા) અવ્યક્ત છે.” આમાં ચૈતન્યનું જે સામાન્યપણું, ધ્રુવપણું, એકપણું તેને અવ્યક્ત કહ્યું છે કેમકે એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ-જે પ્રગટ થવાની છે, ને જે પ્રગટ થઈ ગઈ છે એ બધી -અંતર્લીન છે. (એમાંથી પ્રતિનિયત એક એક પર્યાય એના કાળે આવે છે). નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ-પરભાવને જાણવાની જે સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે, તે જાતની તે કાળે પર્યાયની શક્તિ-યોગ્યતા છે તે પ્રગટ થાય છે. એટલે સામાન્યપણું છે તેને (સમર્થ) કારણ ન ગણતાં ખરેખર જે તે પ્રકારે પર્યાય થવાનો સામાન્યસ્થિત અંદર પર્યાય શક્તિ- યોગ્યતારૂપ જે ભાવ છે તે કારણ છે. જો સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય તો સમયે સમયે એકસરખી દશા આવવી જોઈએ કેમકે સામાન્ય સ્વભાવ તો સદા એકરૂપ છે; પરંતુ સરખી નથી આવતી, કેમકે પર્યાયનો તે તે પ્રકારે પોતાનો સ્વકાળ છે, તે તે કાળે તેવી જ યોગ્યતા છે. સમજાણું કાંઈ....? ભાઈ! આ બધું સમજવું પડશે હોં. આ સમજ્યા વિના બહારમાં-પરભાવમાં સુખ ગોતે છે પણ ધૂળેય ત્યાં સુખ નથી, ત્યાં તો મફતનો હેરાન થઈ રખડી મરવાનું છે.