ગાથા ૨૮ ] [ ૧૧૩
એ જ ભાવ હવેની ગાથામાં કહે છેઃ-
‘જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ” એવું નામ કહેવામાં આવે છે.’ જુઓ, જ્યારે સોનું અને ચાંદીને ગાળીને ગટ્ઠો કરે તો સોનાને “ધોળું સોનું” એમ કહેવામાં આવે છે. ત્યાં સોનું ધોળું નથી, સોનું તો પીળું જ છે. ધોળું તો રૂપું છે અને સોનું તો પીળાશ, ચીકાશ આદિથી અભિન્ન છે. છતાં ચાંદીના મેળાપથી ચાંદીનો ગુણ જે શ્વેતપણું છે એના નામથી સોનાને “શ્વેત સુવર્ણ” એમ વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે, પરમાર્થે એમ નથી.
‘તેવી રીતે, પરમાર્થથી શુકલ-રક્તપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર- કેવળીપુરુષનું “શુકલ-રક્ત તીર્થંકરકેવળીપુરુષ” એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે.’ ભગવાન ધોળા અને ભગવાન રાતા એમ શ્વેત- રક્તપણું એ તીર્થંકર-કેવળીનો સ્વભાવ નથી. એ તો શરીરના ગુણ છે. આવે છે ને કે સોળ તીર્થંકર સોનાવર્ણે હતા, બે રાતા વર્ણે, બે ધોળા વર્ણે, બે નીલવર્ણે અને બે અંજનવર્ણે હતા. ભાઈ! એ તો બધી શરીરની વાતો છે આત્માની નહિ. એ તો વ્યવહારથી કહેવામાં આવી છે. જેમ ચોખાનો કોથળો હોય તેમાં ચોખા ચાર મણ હોય અને કોથળો અઢી શેર હોય તે ભેગો તોળાય, ચાર મણ અને અઢીશેર. હવે તેમાંથી ચોખા ખૂટે તો અઢી શેરનો કોથળો કાંઈ રાંધવામાં કામ આવે? (ન આવે). તેમ શરીર તો કોથળો છે અને અંદર ત્રિકાળી ભગવાન આનંદકંદ આત્મા એ ચોખા (સાર વસ્તુ) છે. એ બન્નેનું એકપણું ત્રણ કાળમાં નથી. એ એકપણું તો વ્યવહારમાત્રથી કહેવામાં આવે છે. પરંતુ શરીર અને આત્માનું એકપણું નહિ હોવાથી નિશ્ચય નયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
‘અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે?’
‘તેનો ઉત્તરઃ-વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રા દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે.’ શું કહે છે? ભગવાનને અંદર નિર્મળ પરિણતિરૂપ કેવળજ્ઞાન પ્રગટયું છે, ણમો અરિહંતાણં-સર્વજ્ઞપદ પ્રગટયું