પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વકાળે પ્રગટ થાય તેનું નામ કાળલબ્ધિ છે, તે એની જન્મક્ષણ છે. પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય એવો જ જ્ઞેયનો સ્વભાવ છે. શ્રી જયસેનાચાર્યદેવે પ્રવચનસારના જ્ઞેયાધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. જ્ઞેયનો સ્વભાવ જ એવો છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય; તે તેની જન્મક્ષણ છે એમ સમ્યગ્દ્રષ્ટિ પ્રતીતિ કરે છે. સમ્યગ્દર્શનનો વિષય ભલે અભેદ એક જ્ઞાયક છે, પણ જ્ઞાનપ્રધાન શૈલીથી જ્ઞાન અને જ્ઞેય-બન્નેની યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. એકલા દ્રવ્યની અભેદ દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન-એ દર્શનપ્રધાન કથન છે. જ્યારે-
પ્રવચનસાર ગાથા ૨૪૨માં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે-“જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથાપ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય છે; જ્ઞેય અને જ્ઞાતાની જે ક્રિયાન્તરથી નિવૃત્તિ તેના વડે રચાતી દ્રષ્ટિજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે.”
જુઓ, અહીં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે. દ્રષ્ટિપ્રધાન કથનમાં એકલા અભેદની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિમાં ‘અનુભવ, લક્ષ, પ્રતીત’-એમ શબ્દો આવે છે. ત્યાં અનુભવ તે ચારિત્રપર્યાય, લક્ષ તે જ્ઞાનની પર્યાય ને પ્રતીત તે શ્રદ્ધાની પર્યાય છે. પ્રવચનસારમાં અનુભવને જ્ઞાનપર્યાય કહી છે, તથા શુભરાગની ક્રિયાથી નિવૃત્તિ અને જાણનાર-દેખનાર સ્વભાવમાં રમણતાને ચારિત્રની પર્યાય કહી છે. નગ્નદશા અને પંચ-મહાવ્રતની ક્રિયા એ કાંઈ વાસ્તવિક ચારિત્ર નથી.
પ્રશ્નઃ– તો સમ્યગ્દર્શન બે પ્રકારનું છે? ઉત્તરઃ– ના, સમ્યગ્દર્શન બે પ્રકારે નથી. સમ્યગ્દર્શન તો એકલી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ એક જ પ્રકારનું છે; તેનું કથન બે પ્રકારે છે-એક દર્શનપ્રધાન અને બીજું જ્ઞાનપ્રધાન. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન નિરૂપણ છે, સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે.
અહાહા...! જે જીવ વિભુ એવા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિશ્વાસ-પ્રતીતિ કરી તેમાં જ ઠરે છે તે અનંત ગુણની વિભૂતિ-અનંત ચતુષ્ટયાદિ નિજવૈભવને પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અહીં વિભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ.’
આખા વિશ્વને સામાન્યપણે ભેદ પાડયા વિના દેખે એવી સર્વદર્શિત્વશક્તિનું અહીં વર્ણન છે. આ જીવ છે, આ જડ અજીવ છે, આ ગુણ છે, આ ગુણી છે, આ ભવિ છે, આ અભવિ છે ઇત્યાદિ ભેદ પાડયા વિના સર્વ લોકાલોકને સામાન્ય સત્તાપણે દેખવારૂપ પરિણમતી એવી આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે. લોકાલોકને સત્તામાત્ર સામાન્યપણે દેખે એટલે પદાર્થ છે બસ એટલું દેખે. આ આત્મા છે એમ ભેદ પાડે એ તો જ્ઞાન થઈ ગયું. દર્શન કોઈ ભેદ પાડતું નથી.
અહીં આ જે સર્વદર્શિત્વશક્તિ કહી છે તે આત્મદર્શનમયી છે. ત્યારે કોઈ કહે છે-સર્વને દેખે એમ કહેતાં સર્વમાં અનંતા પર આવી ગયા, અને તેથી પરને દેખે એમ પણ આવી ગયું; તો આત્મદર્શનમયી કેવી રીતે છે? અર્થાત્ પૂરા લોકાલોકને દેખે તો તેની અપેક્ષા આવી કે નહિ?
સમાધાનઃ– અરે ભાઈ! સર્વદર્શિત્વશક્તિ દેખવારૂપે પરિણમે તે આત્મદર્શનમયી પરિણામ છે. જરા સૂક્ષ્મ વાત છે. આત્મદર્શનમયી પરિણામ છે એટલે શું? કે સ્વને દેખતાં સહજ જ આખા વિશ્વને દેખી લે છે, વિશ્વને દેખવા માટે વિશ્વ પ્રતિ ઉપયોગ જોડવો પડતો નથી. સર્વ શબ્દે સ્વ-પર સહિત આખું લોકાલોક આવી ગયું. સર્વને દેખે છે એમ કહીએ એમાં પરને દેખે છે એમ પણ આવી ગયું પણ પરને દેખે છે એમ કહીએ એ તો અસદ્ભૂત વ્યવહારનય છે. બાકી સર્વદર્શિત્વશક્તિના દેખવારૂપ જે પરિણામ થાય તે આત્મદર્શનમયી પરિણામ છે, સ્વાશ્રયી પરિણામ છે. તેમાં પરની