૬૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહો! ભગવાન આત્મા દિવ્ય ચિત્ચમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં અનંતા કેવળી-સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. અહા! આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વશક્તિ તો મહા આશ્ચર્યકારી છે. અહા! સર્વ લોકાલોકના અનંતા ભાવોને દેખે-જાણે પણ તે પ્રતિ (જ્ઞાન-દર્શનનો) ઉપયોગ જોડવો પડે નહિ, અને કયાંય પરનો આશ્રય નહિ. ગજબ વાત છે પ્રભુ! ચૈતન્યસ્વભાવમય આત્માનો આ અદ્ભુત રસ છે; અહા! જેમાં વીતરાગી વીરતાનો વીરરસ ને અનાકુળ આનંદરૂપ શાંતરસ સમાય છે-એવો આત્માનો આ અલૌકિક અદ્ભુત રસ છે.
સર્વ લોકાલોકને સત્તામાત્ર સામાન્ય દેખવારૂપે પરિણમે છે તે સર્વદર્શિત્વશક્તિ છે, અને તે જ સમયમાં વિશ્વના સમસ્ત વિશેષ ભાવોને ભેદ પાડીને જાણવારૂપ પરિણમે તે સર્વજ્ઞત્વશક્તિ છે. વિશેષ ભાવો શું? વિશેષ ભાવોમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ, ગુણભાવ, પર્યાયભાવ, એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ, ત્રણે કાળના અનંતા કેવળી ભગવંતો સહિત સર્વ અનંતા દ્રવ્યો જાણવામાં આવે છે. અહા! કેવળી ભગવાન કે જેમના જ્ઞાનમાં લોકાલોક જણાય-એવા અનંતા કેવળી ભગવંતો કેવળજ્ઞાનની એક પર્યાયમાં જણાય તે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત કેટલી? નિગોદિયા જીવને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો વિકાસ છે. તેમાં અનંત અવિભાવ પ્રતિચ્છેદ હોય છે. કેવળજ્ઞાનની પર્યાયનું તો શું કહેવું? અહાહા...! કેવળજ્ઞાનની એક પર્યાયમાં અનંત અનંત અવિભાગ પ્રતિચ્છેદો છે. તેને ભિન્ન ભિન્ન કરીને ભગવાન કેવળી જાણે એવું કેવળજ્ઞાનનું અપાર અપરિમિત અનંતુ સામર્થ્ય છે. અહા! પ્રત્યેક જીવમાં આવી સર્વજ્ઞત્વશક્તિ અંદર ત્રિકાળ પડી છે. પણ તેની અંતર્મુખ થઈ પ્રતીતિ કરે તો ખબર પડે ને? સ્તવનમાં આવે છે કેઃ-
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ.
અહા! નિગોદના જીવ પણ સત્તાએ શુદ્ધ ત્રિકાળ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે એમ હે ભગવાન! આપે કેવળજ્ઞાનમાં જોયું છે. ભાઈ! આ પુણ્ય-પાપના ભાવ થાય તે કાંઈ આત્મા નથી. ગંભીર વાત છે પ્રભુ! નિગોદના જીવ પણ સ્વભાવે શક્તિ-અપેક્ષા શુદ્ધ છે; પર્યાયમાં અશુદ્ધતા છે, પણ એ તો એક સમયની છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે, બાકી વસ્તુ તો અંદર ત્રિકાળ શુદ્ધ પડી છે. અહા! આવી નિજ આત્મવસ્તુમાં એકાગ્ર થઈને પ્રવર્તે ત્યાં સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ પ્રગટ થાય છે, હું સર્વજ્ઞસ્વભાવી છું એમ ત્યારે નિશ્ચય થાય છે, પરંતુ અલ્પજ્ઞપણું માને ત્યાં સુધી સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ નથી, અર્થાત્ ત્યાં સુધી તેને સર્વજ્ઞસ્વભાવ પરિણત નથી. સમજાય છે કાંઈ...?
અહાહા...! પોતે શુદ્ધ એક જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરી તેમાં એકાગ્ર થતાં મારો સર્વજ્ઞસ્વભાવ છે અર્થાત્ મારો કેવળજ્ઞાન એટલે એકલો જ્ઞાનસ્વભાવ છે એમ કેવળજ્ઞાનસ્વભાવની શ્રદ્ધા-પ્રતીતિ પ્રગટ થાય છે. અહા! ચોથે ગુણસ્થાને આમ કેવળજ્ઞાનસ્વભાવની જેને પ્રતીતિ પ્રગટ થઈ છે તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પૂર્ણ દશા તો તેરમા ગુણસ્થાને થાય છે, પણ પોતાના શુદ્ધ સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થતાં પર્યાયમાં શક્તિનું પરિણમન થયું, શક્તિ પરિણત થઈ તેને ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. આવી વાત! હવે આમાં કેટલાકને એમ લાગે કે ધર્મનો આ કઈ જાતનો ઉપદેશ?
અરે ભાઈ! ત્રિકાળી ધ્રુવ અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મદ્રવ્યની દ્રષ્ટિ-પ્રતીતિ કરતાં અજ્ઞાનજન્ય પરનો મહિમા ઉડી જાય છે; પરિણામ સ્વમાં-સ્વસ્વરૂપમાં વિશ્રાંત થાય છે, ઠરે છે, ને આત્મામાં દર્શન, જ્ઞાન, શ્રદ્ધા, સુખ, વીર્ય, પ્રભુત્વ આદિ અનંત શક્તિઓનું નિર્મળ નિર્મળ પરિણમન એક સાથે ઉછળે છે, પ્રગટે છે. આ જ ધર્મ ને આ જ મોક્ષમાર્ગ છે. સાધ્ય આત્માની આ રીતે જ સિદ્ધિ થાય છે. આ સિવાય વ્રત પાળવાં, દયા પાળવી ઇત્યાદિ વ્યવહાર-રાગ કાંઈ ધર્મ નથી, ધર્મનું સાધનેય નથી, વાસ્તવમાં તો તે રાગ હોવાથી બંધનસ્વરૂપ જ છે. અરે પ્રભુ! રાગની મમતાની આડમાં તારાં પરમ નિધાન તારી નજરમાં આવ્યાં નહિ!
અહીં કહે છે-આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણત એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. આમાં એકલી શક્તિની વાત નથી, પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમયી શક્તિની વાત છે. અંદર સર્વજ્ઞત્વશક્તિ પડી છે તેની પરિણતિ પ્રગટ થઈ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્માને એકને જાણવારૂપે પરિણત થાય એવી સર્વજ્ઞત્વશક્તિ છે.
તો શું તે (-પરિણતિ) પરને જાણતી નથી? પરને જાણતી નથી એમ કયાં વાત છે? પરને જાણવા પ્રતિ તે સાવધાન નથી, પરમાં તે તન્મય નથી. પરમાં તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ તે અસદ્ભૂત વ્યવહારનય છે. જેમાં પર-લોકાલોક