Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3982 of 4199

 

૧૦-સર્વજ્ઞત્વશક્તિઃ ૬૩

થઈ જશે. આનું નામ સર્વજ્ઞની-અરહંતની વાસ્તવિક પ્રતીતિ છે.

પ્રવચનસાર, ગાથા ૮૦માં કહ્યું છેઃ-
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે;
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.

જે જીવ અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે.

આમાં શું કીધું? કે અર્હંતભગવાનના દ્રવ્ય-ગુણ ને કેવળજ્ઞાનની પર્યાયને પ્રથમ વિકલ્પ દ્વારા જાણીને પછી પોતાના આત્મા સાથે તેનું મિલાન કરે છે; ઓહો! વર્તમાનમાં મને ભલે કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી, પણ દ્રવ્યરૂપથી મારો કેવળજ્ઞાનસ્વભાવ છે. અહાહા...! આમ વિચારી સર્વજ્ઞસ્વભાવી નિજ આત્મદ્રવ્યને કારણપણે ગ્રહણ કરીને તેની સન્મુખ થઈ પરિણમે છે ત્યાં અવશ્ય તેનો મોહ નાશ પામી જાય છે, અર્થાત્ તેને પર્યાયમાં સ્વસ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહા! જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં આ નિશ્ચય થયો કે હું તો એકલો જ્ઞાનસ્વરૂપ શક્તિએ પૂર્ણ વસ્તુ છું. અહાહા...! કેવળજ્ઞાન-શક્તિ મારામાં ત્રિકાળ પડી છે તે અંતઃપુરુષાર્થ વડે અલ્પકાળમાં જ પૂરણ પ્રગટ થઈ જાશે. લ્યો, આવી વાત! પહેલાં આમ પ્રતીતિ નહોતી તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન ન હોતું, પણ જ્યાં અંદર ત્રિકાળી સ્વદ્રવ્યને જ્ઞેય બનાવ્યું તો સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઈ, શ્રદ્ધાનમાં કેવળજ્ઞાન પ્રગટ થયું અને પર્યાયમાં અલ્પકાળમાં જ સાક્ષાત્ કેવળજ્ઞાન પ્રગટ થવાની તૈયારી થઈ ગઈ. સમજાણું કાંઈ...?

હવે આવી સાર-સાર વાત છોડીને લોકો બહારની તકરારમાં પડયા છે. શુભભાવથી ધર્મ થાય, પુણ્ય ધર્મનું સાધન છે વગેરે ખોટી માન્યતામાં તેઓ રાચે છે. પણ ભાઈ, શુભભાવ તારા સ્વરૂપમાં છે નહિ, તારા દ્રવ્ય-ગુણમાં નથી, અને શક્તિનું જે નિર્મળ પરિણમન થાય તેમાંય નથી. સ્વરૂપ લક્ષે સમ્યગ્દર્શનનું પરિણમન થાય તેમાંય કયાંય શુભભાવ છે નહિ. હા, એટલું છે કે સમ્યગ્દર્શનની સાથે સર્વજ્ઞશક્તિ પરિણત થતાં જે જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાન, તે કાળે જેવો જેવો રાગ છે તેને જાણે છે બસ. તે જ્ઞાન તે કાળે સ્વાશ્રિત પ્રગટ થયું છે, કાંઈ રાગને લઈને પ્રગટ થયું છે એમ નથી. અહા! શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમયી છે, રાગમયી કે પરજ્ઞાનમયી નથી.

જ્ઞાનીને રાગ આવે છે; રાગ જે હોય તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ૧૨મી ગાથામાં ‘તદાત્વે’ શબ્દ પડયો છે. જ્ઞાની-ધર્મી પુરુષને રાગ આવે છે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે સ્વપરપ્રકાશી જ્ઞાનની પર્યાય સહજ પોતાના સામર્થ્યથી જ તે કાળે પ્રગટ થાય છે, રાગને લઈને રાગનું જ્ઞાન થાય છે એમ નથી. રાગનો તો જ્ઞાનમાં અભાવ છે ભાઈ! ખરેખર તો જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે, રાગને જ્ઞાન જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે. જ્ઞાનીને જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞરૂપ છે, અને તે કાળે તેને પર્યાયમાં રાગ પણ છે, તો જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે, નિશ્ચયથી તો પોતે પોતાને-પોતાની પરિણતિને જ જાણે છે.

નિશ્ચયથી કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે, કેમકે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય-બધું આત્મા છે. આત્મા જ્ઞાતા અને પરવસ્તુ જ્ઞેય એ વસ્તુ નિશ્ચયથી છે નહિ. સર્વજ્ઞશક્તિની સ્વાશ્રયે સમ્યગ્જ્ઞાનરૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાયની પ્રતીતિ આવી જ ગઈ છે; આનું નામ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિની પરિણતિ છે.

અહા! આ સર્વજ્ઞશક્તિમાં ઘણી ગંભીરતા છે ભાઈ! સર્વ શક્તિઓનું પરિણમન સ્વ-આશ્રયે પોતાથી થાય છે તેથી અહીં એમ કહ્યું કે-સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. અહા! સર્વજ્ઞશક્તિ જે ત્રિકાળ છે તે સર્વ ભાવોને જાણવારૂપે વર્તમાન પરિણત થાય છે ત્યાં તેના પરિણામ આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમયી નથી. ‘ખાનિયા તત્ત્વચર્ચા’માં આ સંબંધી પ્રશ્ન ઉઠાવી તર્ક કર્યો છે કે- સર્વજ્ઞશક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે. પણ આ વાત બરાબર નથી. વાસ્તવમાં આત્મદ્રવ્યમાં સર્વજ્ઞસ્વભાવ-સર્વજ્ઞશક્તિ સહજ જ ધ્રુવપણે ત્રિકાળ છે; અહા! આવી શક્તિનો ધરનાર જે ભગવાન આત્મા તેની સન્મુખ થઈ સ્વ-આશ્રયે પરિણમવાથી સ્વરૂપના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; ભેગી અનંત શક્તિ સહિત સર્વજ્ઞશક્તિ પણ નિર્મળ પરિણત થાય છે તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. સાક્ષાત્ પરિણમનરૂપ કેવળજ્ઞાન થયું એમ નહિ, સર્વજ્ઞશક્તિની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું એમ કહેવાય છે. પહેલાં આત્મા અલ્પજ્ઞ જ છે અર્થાત્ સર્વજ્ઞશક્તિ નથી એવી દ્રષ્ટિ હતી તે મિથ્યા દ્રષ્ટિ હતી. હવે સ્વસન્મુખ થઈ પરિણમતાં સર્વજ્ઞસ્વભાવી હું છું એમ નિશ્ચય થયો