અહાહા! સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ અટપટી છે. શ્રેણિક રાજાનો જીવ નરકમાં પણ અત્યારે નિરાકુળ આનંદરૂપ પરિણામનો જ ભોક્તા છે, ને જે દુઃખ છે, પ્રતિકૂળતા છે તેને બહારની ચીજ જાણી તેના ભોગવવાના ઉપરસ્વરૂપ જ તેઓ પરિણમી રહ્યા છે. આવી વાત! સમજાણું...?
શું થાય? અજ્ઞાની તો બહાનું કરવામાં રોકાઈ ગયો છે; આખો દિવસ પાપ, પાપ ને પાપ. હવે તે કયારે નિવૃત્તિ લે અને કયારે તત્ત્વ સમજે? પણ આ તો જીવન ચાલ્યું જાય છે ભાઈ! પછી કયાં જઈશ, કયાં ઉતારા કરીશ? જરા વિચાર કર.
અહીં કહે છે-અનંતગુણનિધાન પ્રભુ આત્મામાં, જ્ઞાતૃત્વમાત્રથી ભિન્ન એવા વિકારી પરિણામના ભોગવટાથી નિવૃત્તસ્વરૂપ એવું ત્રિકાળ અભોક્તાપણું છે. ને આવા સ્વભાવનો અંતર-લક્ષ કરી સ્વીકાર કરતાં પર્યાયમાં પણ અભોક્તા ગુણનું પરિણમન ભોક્તા થતો નથી. ભાષા તો સાદી છે, ભાવ ગંભીર છે. અહા! અભોક્તૃત્વશક્તિનું ભાન થતાં પર્યાયમાં અભોક્તાપણું પ્રગટયું અને હવે તે રાગના-વિકારના પરિણામનો ભોક્તા નથી. આનું નામ ધર્મ છે.
આ પ્રમાણે અહીં અભોક્તૃત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતાસ્વરૂપ (-અકંપતાસ્વરૂપ) નિષ્ક્રિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન મટી જાય છે માટે નિષ્ક્રિયત્વશક્તિ પણ આત્મામાં છે.)’
અહાહા...! ભગવાન આત્માનો-ત્રિકાળી એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુનો-આશ્રય કરતાં જ્ઞાનની પર્યાયમાં આખું પૂર્ણ દ્રવ્ય અને તેનાં અનંત ગુણનું જ્ઞાન થાય છે; ને ત્યારે પર્યાયમાં સર્વ ગુણોની એકદેશ વ્યક્તિ પ્રગટ થાય છે. અહા! અક્રમવર્તી અનંતગુણમય પ્રભુ આત્મા છે, અને તેની નિર્મળ નિર્મળ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે. તે અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયોનો સમુદાય તે આત્મા છે. વિકારી પર્યાયની અહીં વાત કરી નથી, કેમકે વિકાર એ શક્તિનું-ગુણનું કાર્ય નથી. અહાહા...! શક્તિના ધરનાર સામાન્ય ધ્રુવ એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અને ત્યારે આત્મામાં નિષ્ક્રિયત્વ સહિત જેટલા અનંત ગુણ છે તે પર્યાયમાં એકદેશ પ્રગટ થાય છે. અહા! જ્ઞાનભાવ પ્રગટ થતાં સાથે અનંતી શક્તિઓ ભેગી ઉછળે છે.
જુઓ, પહેલાં અકર્તૃત્વ અને અભોક્તૃત્વશક્તિનું વર્ણન કર્યું; ત્યાં એમ કહ્યું કે-સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના કરવાના અને ભોગવવાના ઉપરમસ્વરૂપ અકર્તૃત્વ અને અભોક્તૃત્વશક્તિ. અહીં આ નિષ્ક્રયત્વશક્તિના વર્ણનમાં કહે છે-સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતાસ્વરૂપ (- અકંપતાસ્વરૂપ) નિષ્ક્રિયત્વશક્તિ છે. જુઓ, આત્માનો સ્વભાવ તો સ્થિર-અકંપ-નિષ્ક્રિય છે. પ્રદેશોનું કંપન એ તો કર્મના નિમિત્તે થયેલો ઔદયિકભાવ છે, તે સ્વભાવભાવ નથી. સ્વરૂપના આશ્રયે સર્વ કર્મોનો અભાવ થતાં ચૈતન્યપ્રભુ પૂર્ણ સ્થિર-અક્રિય થાય છે. અને તે અક્રિયત્વ આત્માનો સ્વભાવ છે, સ્વભાવ છે તેની ત્યાં પ્રગટતા છે. સમકિતી ધર્મીને પણ આ સ્વભાવની એકદેશ વ્યક્તતા થાય છે. ધર્મીની દ્રષ્ટિમાં કર્મ-નિમિત્તના સંબંધ રહિત એક અકંપ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે, અને તેથી તેને કર્મ તરફના કંપન સહિત બધા ભાવોનો દ્રષ્ટિ અપેક્ષાએ અભાવ છે.
તદ્ન અકંપપણું તો ચૌદમા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે; તથાપિ ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિતી જીવને પણ નિષ્ક્રિયત્વનો અંશ વ્યક્ત થાય છે. આસ્રવ અધિકારમાં ગાથા ૧૭૬ના ભાવાર્થમાં આ વાત આવી છે. ખરેખર તો પોતાનું પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય જયાં પ્રતીતિ ને અનુભવમાં આવ્યું ત્યાં દરેક સમ્યગ્દ્રષ્ટિ જીવને ચોથા ગુણસ્થાને પર્યાયમાં એકદેશ નિષ્પંદતારૂપ પરિણમન થાય છે, અર્થાત્ નિષ્ક્રિયત્વશક્તિનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’-એમ સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે; મતલબ કે સમ્યગ્દર્શન થતાં અવિનાભાવપણે સર્વ અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે.
રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં પં. શ્રી ટોડરમલજી કહે છે-“એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એકદેશ