Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4054 of 4199

 

૨૭-અનંતધર્મત્વશક્તિઃ ૧૩પ

પરિણમન બતાવ્યું છે, જીવની પર્યાયમાં વિકાર પોતાથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે એમ ત્યાં ‘અસ્તિ’ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...?

અત્યારે તો પ્રરૂપણા જ આવી ઉલટી થઈ ગઈ છે કે-વ્રત પાળો, ને દયા કરો ને દાન કરો ઇત્યાદિ; પણ એ તો બધો રાગ-વિકલ્પ છે ભાઈ! તારી ચીજ ચૈતન્યરત્નાકર તો અંદર કોઈ જુદી જ અલૌકિક છે. અહાહા...! અનંત ચૈતન્ય ગુણરત્નોનો અંદર ભંડાર ભર્યો છે. રાગની કર્તાબુદ્ધિમાં એ ભંડારનું તાળું બંધ થઈ ગયું છે. તે ખૂલે કેમ? તો કહે છે -રાગ ઉપરની બુદ્ધિ છોડી દે, અનંત સ્વભાવોના ભેદનું લક્ષ છોડી દે, ને એકરૂપ-એક જ્ઞાયકભાવરૂપ અંદર પોતે છે તેમાં દ્રષ્ટિ લગાવી દે; ખજાના ખૂલી જશે, ને અદ્ભુત આહ્લાદકારી આનંદ પ્રગટશે.

સમયસાર, પાંચમી ગાથામાં કહ્યું છે ને કે-

तं एयत्तविहतं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं।।

અહાહા...! આચાર્ય કહે છે-ભગવાન સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં પોતાના સ્વભાવથી એકત્વ અને રાગાદિ વિકારથી વિભક્ત એવું ભગવાન આત્માનું સ્વરૂપ આવ્યું છે, અને એવું જ અમે પ્રત્યક્ષ અનુભવ કરી જાણ્યું છે. માટે હે શિષ્ય! તું અનુભવમાં સ્વસંવેદન વડે પ્રમાણ કર. લ્યો, આમ સ્વસંવેદનમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન એકત્વવિભક્તસ્વરૂપ અનુભવાય છે.

આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. વળી તે આનંદસ્વરૂપ છે, તેથી આનંદની પર્યાયથી તે પ્રાપ્ત થાય છે. પ્રભુત્વશક્તિથી આત્મા ભર્યો પડયો છે તો પ્રભુત્વની પર્યાયથી તેની પ્રભુતાનું ભાન થાય છે; આત્મા અકર્તૃત્વશક્તિથી ભર્યો છે, તેથી પર્યાયમાં રાગના અકર્તાપણે ને જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. અભોક્તૃત્વ નામનો આત્માનો ગુણ છે, તો રાગનું અભોક્તૃત્વ અને આનંદના ભોગવટાથી આખુંય દ્રવ્ય અભોક્તાસ્વરૂપ અનુભવાય છે. આવી વાત! અરે! લોકોએ માર્ગને વીંખી નાખ્યો છે. આવું સત્ય બહાર આવ્યું તો આ એકાન્ત છે, એકાન્ત છે એમ રાડો પાડી વિરોધ કરવા માંડી પડયા છે. પણ ભાઈ! જો તું સર્વજ્ઞને માને, કેવળજ્ઞાનને માને તો નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય ને દ્રવ્યની પર્યાયો સક્રમ-અનિયત પણ થાય એ બધી વિપરીત માન્યતાઓ સહેજે ઉડી જાય છે, અર્થાત્ એવી માન્યતાઓને કોઈ અવકાશ જ નથી.

અહા! આત્મા અનંતધર્મસ્વરૂપ એક છે; તેમાં રાગ નથી, વિભાવ નથી. અહાહા...! પોતે જ પોતાને તારનારો અચિન્ત્ય દેવ છે; બીજો કોઈ તારનાર નથી. અરે ભાઈ! પોતાનો સ્વભાવ શું? ને દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ શું?-તે યથાર્થ સમજ્યા વિના, તેની ઓળખાણ કર્યા વિના તું કોના જોરે તરીશ? ઉંધી માન્યતા ને કુદેવ-કુગુરુ- કુધર્મનું સેવન તો તને સંસાર સમુદ્રમાં ડુબાડનાર જ છે. હે ભાઈ! તું પોતે જ કલ્યાણસ્વરૂપ છો, પોતે જ પોતાની નિર્મળ પર્યાયોની સૃષ્ટિનો સ્રષ્ટા છો, ને પોતે જ પોતાનો રક્ષક છો. ભગવાન તો કહે છે-અમારા જેવા બધાય ધર્મો તારા સ્વરૂપમાં ભર્યા છે, તેનો અંતરમાં સ્વીકાર કર ને ભગવાન થઈ જા. લ્યો, આવો મારગ છે. અંદરમાં સ્વસ્વરૂપનો સ્વીકાર તે મારગ છે, ને અસ્વીકાર તે અમાર્ગ છે.

અહીં શક્તિના વર્ણનમાં શક્તિને ધરનારું દ્રવ્ય તે પવિત્ર છે, શક્તિ પવિત્ર છે, ને તેની પરિણતિ પણ પવિત્ર છે. નિર્મળ પર્યાયને જ અહીં શક્તિની પર્યાય ગણવામાં આવી છે, ને શુભાશુભ રાગનો-વિકારનો તેમાં અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. લોકો સમજ્યા વિના વિરોધ કરે છે. પણ નિશ્ચયથી અર્થાત્ શુદ્ધભાવથી પણ પર્યાય શુદ્ધ થાય ને શુભરાગરૂપ વ્યવહારથી પણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય એવું વસ્તુસ્વરૂપ નથી, એ અનેકાન્ત નથી, પણ મિથ્યા અનેકાન્ત છે. મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચયાભાસ અને વ્યવહારાભાસનું વર્ણન કર્યું છે તેમાં આ વાત બહુ સ્પષ્ટ આવી છે. અનેકાન્ત પણ બે પ્રકારે છેઃ સમ્યક્ અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત. તેવી રીતે સમ્યક્ એકાન્ત અને મિથ્યા એકાન્ત એમ એકાન્ત પણ બે પ્રકારે છે.

ભાઈ! એકેક શક્તિના પરિણમનમાં વ્યવહારનો-રાગનો અભાવ છે, આ અનેકાન્ત છે. આ ખ્યાલમાં રાખવા જેવી વાત છે. ગામે ગામ અને ઘેરઘેર આ વાત પહોંચાડવા જેવી છે. સ્વરૂપના પરિણમનની અસ્તિમાં રાગાદિ વિકારની નાસ્તિ છે.

અહીં કહે છે-સ્વાભિમુખ પરિણમન થતાં જીવના અનંતધર્મત્વ સ્વભાવનું ભેગું જ નિર્મળ પરિણમન થાય છે,