શાંત છે; જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે.
અહાહા...! અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા એકાંત શાંત ભાવમય છે, પૂર્ણ શાંત છે. વળી તે અચળ છે. કર્મના ઉદયથી કદીય ચળે નહિ એવો ત્રિકાળ અચળ છે. અહાહા...! કહે છે-સદાય અચળ છે એવું ચૈતન્યમાત્ર તેજ હું છું. લ્યો, આવા આત્માને દ્રષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...? આવો મારગ ભાઈ! આત્મા જિનસ્વરૂપ જ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી.
‘આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય.’
જોયું? કહે છે-એક એક નયથી એક એક શક્તિને જોવામાં આવે તો આત્માના ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય; અર્થાત્ અખંડ દ્રવ્ય-વસ્તુ જ્ઞાનમાં આવે નહિ.
અહીં કોઈ કહે કે-આત્મા ખંડખંડ કયાંથી થાય? કેમકે શાસ્ત્રમાં આવે છે કે-न छिदन्ति, न भिदन्ति.
ભાઈ! અહીં કઈ અપેક્ષાથી વાત છે તે સમજવી જોઈએ. વસ્તુ તો અખંડ જ છે, પણ એક એક ગુણને લક્ષમાં લેતાં આત્મા અનેક ખંડખંડરૂપ ભાસશે, અખંડરૂપ નહિ ભાસે એમ એનો અર્થ છે. એમ તો આત્મા અનાદિઅનંત ત્રિકાળ અવિનાશી છે, પણ એક એક ભેદને લક્ષ કરી ગ્રહણ કરતાં ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. હવે આનો અર્થ શું? એ જ કે પોતાની હયાતીમાં અખંડ-એકપણું ભાસ્યું નહિ, અને ખંડખંડપણું ભાસ્યું તો તે અખંડપણાની નાસ્તિ છે. સમજાણું કાંઈ...? જ્ઞાનમાં અખંડપણું ભાસ્યું નહિ તો અખંડપણું કયાં રહ્યું? અખંડ તો છે, પણ એના જ્ઞાનમાં અખંડની નાસ્તિ થઈ.
હવે કહે છે-‘આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્ય-વિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી.’
વસ્તુમાં નિત્ય, અનિત્ય; એક, અનેક ઇત્યાદિ ધર્મો છે, તથા સામાન્ય દ્રવ્યસ્વરૂપથી એકરૂપ અને વિશેષ અપેક્ષા ભેદરૂપ એમ વસ્તુ છે, તથાપિ (આ રીતે વસ્તુને પ્રથમ જાણીને) વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાનમાત્ર અનુભવે છે તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે. હું એક ચૈતન્યમાત્ર વસ્તુ છું એવી દ્રષ્ટિ કરીને વસ્તુમાં એકાગ્ર થઈ પરિણમવું એનું નામ ધર્મ છે; એનું નામ આત્માની સ્વીકૃતિ ને ઓળખાણ છે, ને એ જ સ્વાનુભવ છે. આવું જ વસ્તુસ્વરૂપ છે, સ્યાદ્વાદીને એમાં વિરોધ નથી; વિરોધનું નિરાકરણ છે.
હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગદ્યમાં કહે છેઃ
‘न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुध्द एको ज्ञानमात्रो भावोऽस्मि’
‘(જ્ઞાની શુદ્ધનયનું આલંબન લઈ એમ અનુભવે છે કેઃ) હું મને અર્થાત્ મારા શુદ્ધત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો (-ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો; સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું.’
‘શુદ્ધનયનું આલંબન લઈ’-એટલે શું? કે શુદ્ધનયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ વસ્તુનું આલંબન લઈ જ્ઞાની એમ અનુભવે છે કે-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી હું મને ખંડતો નથી. દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો ને ભાવથી જુદો-એમ હું મને ખંડખંડરૂપ અનુભવતો નથી. દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-બધું જ અભેદપણે સમાય છે એવો હું પોતાને અખંડ અનુભવું છું. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, ભાવથી શું-હું તો આખી અખંડ એક જ વસ્તુને અનુભવું છું. વસ્તુમાં એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (-અવસ્થા) અને એના ભાવ (ગુણ) જુદા જુદા છે એમ છે જ નહિ.
કળશ ટીકામાં કેરીનું દ્રષ્ટાંત આપ્યું છે ને? જેવી રીતે કેરીમાં કોઈ અંશ રેસા છે, કોઈ અંશ ફોતરું છે, કોઈ અંશ ગોટલી છે તથા કોઈ અંશ મીઠાશરૂપે છે-એ ચારે અંશ જુદેજુદા છે, એમ એક જીવવસ્તુમાં કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, અને કોઈ અંશ જીવભાવ છે-એમ ચાર જુદેજુદા નથી. એ તો એક