પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા–એમ જ્ઞાન–જ્ઞેય–જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા–એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧.
જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો;...’
જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલાં દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્ગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારાં જ્ઞેય અને હું એનો જ્ઞાયક એમ, કહે છે, ન જાણવું હવે એનું કર્તાપણું તો કયાંય ગયું, અહીં તો કહે છે-એના (છ દ્રવ્યોના) જાણવામાત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ! પરદ્રવ્યો સાથે જ્ઞેયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ...? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે-ભગવાન આત્મા જ્ઞાયક, ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહિ. બારમી ગાથામાં વ્યવહાર ‘જાણેલો’ પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞેય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એનાં જ્ઞેય કહેવાં તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને જ્ઞેયજ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો -સ્વામિત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે-
‘ज्ञेय–ज्ञान–कल्लोल वल्गन्’ (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, ‘ज्ञान– ज्ञेय–ज्ञातृमत्–वस्तुमात्रः ज्ञेयः’ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા -એમ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
‘જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો’-આ વ્યવહારથી કહ્યું હોં. ખરેખર તો જ્ઞેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. ‘જ્ઞેયોના આકારે થતું જ્ઞાન’ એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર છે જ નહિ. સમજાણું કાંઈ...? અહાહા...! અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઈને હું જ્ઞેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું, ને જ્ઞેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ...?
અહાહા...! અહીં શું કહે છે? કે પર જ્ઞેય (પરપદાર્થો-દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ પરમેષ્ઠી, ને વ્યવહાર રત્નત્રય આદિ જ્ઞેય), હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું જ્ઞેય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવા ત્રણ ભેદરૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જુઓ આ સ્વાનુભવની દશા! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય એવા ભેદોથી ભેદાતો નથી એવો અભેદ ચિન્માત્ર હું આત્મા છું. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ-વિકલ્પ છે, પણ વસ્તુ ને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહિ, બધું અભેદ એક છે.
ભાઈ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી